• રવિવાર, 21 જૂન, 2026

ઈસ્લામિક નાટો બનાવવાની ફિરાકમાં પાકિસ્તાન, સાઉદી, તુર્કી અને ઈજિપ્ત

યુદ્ધના સંજોગોમાં એકબીજાની વહારે ચડવા માટે તખ્તો તૈયાર કરવાના પ્રયાસ

નવીદિલ્હી, તા.20 : ઈરાન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ દેશોએ ઈસ્લામિક નાટો સંગઠન બનાવવાની તૈયારીઓ જોરશોરથી આગળ ધપાવવા માંડી છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી ઈશાક ડાર રવિવારે ઈજિપ્ત જશે અને ત્યાં ઈજિપ્ત ઉપરાંત સાઉદી અરબ અને તુર્કીનાં વિદેશમંત્રીઓ સાથે આના માટે વાટાઘાટો કરશે.

એવું માનવામાં આવે છે કે, આ ચારેય દેશ નાટોની જેમ ઈસ્લામિક નાટો જેવું કોઈ જૂથ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ સંગઠનનો ઉદ્દેશ નાટો જેવો જ છે. એટલે કે કોઈપણ એક સદસ્ય દેશ ઉપર હુમલો થાય તો તેને જૂથના અન્ય દેશો ઉપર પણ હુમલો માનવામાં આવશે અને સંયુક્ત જવાબી કાર્યવાહી કરશે.

કાહિરામાં યોજાનારી આ આર-ફોરની ચોથી બેઠક હશે. આર-ફોર એક એવો કૂટનીતિક ઢાંચો છે જેની શરૂઆત ચાલુ વર્ષે માર્ચમાં ઈજિપ્ત, સાઉદી, તુર્કી અને પાકિસ્તાને કરી હતી. અમેરિકા અને ઈરાનનાં ઘર્ષણ બાદ આ ચારેય દેશોએ પરસ્પર વાતચીત ઝડપી બનાવી દીધી છે. જેથી યુદ્ધના સંજોગોમાં આ દેશો એકબીજાની વહારે આવી શકે.

પીઓકેમાં બારમા દિવસે પણ વિરોધ જારી

પાકિસ્તાની સેનાના દમન સામે 70 હજારથી વધુ લોકોના રાવલકોટમાં દેખાવ: 58ની હત્યા કરાયાનો આરોપ

નવી દિલ્હી, તા.20 : પાકિસ્તાનના કબજામાં રહેલાં કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાની સેનાની બર્બરતા સામે બારમા દિવસે પણ હજારો લોકોના રાવલકોટના ઈદગાહ મેદાનમાં દેખાવો જારી રહ્યા હતા.  ગઈકાલે અંકૂશરેખા (એલઓસી) પાસે પીઓકેના બટ્ટલ ગામના રાવલકોટ તરફ જઈ રહેલા 70 દેખાવકારો પર પાકિસ્તાની રેન્જર્સે ગોળીબાર કર્યાની ઘટનાથી દેખાવકારોમાં રોષ વધ્યો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 58 નિ:શત્ર દેખાવકારની પાકિસ્તાને હત્યા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દેખાવકારોએ જણાવ્યું કે આટલી બર્બરતા તો પેલેસ્ટાઈનમાં પણ કરવામાં આવતી નથી જેવું દમન પાકિસ્તાનની સેના, રેન્જર્સ, એફસી, સિંધ પોલીસ દ્વારા પીઓકેમાં કરવામાં આવી રહ્યું છે. વિરોધ દેખાવના મુખ્ય આયોજકો પૈકીના ખ્વાજા મેહરાને જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ડ્રગ્સ માફિયાઓના ઈશારે ગોળીબાર કરી રહ્યા છે. મેહરાને મંચ પરથી પડકાર ફેંક્યો હતો કે તે સાબિત કરવા તૈયાર છે કે પાંચમી જૂનથી કઈ રીતે પાકિસ્તાની સેના આતંકવાદ કરી રહી છે.વિરોધ દેખાવોના બારમા દિવસે પણ પીએાકેની સીમા સીલ હોવાથી ખોરાક લઈને આવી રહેલી ટ્રકોની લાંબી કતાર સર્જાઈ છે. પાંચમી જૂનથી જ પીઓકેમાં ઈન્ટરનેટ બંધ છે. 70 હજારથી વધુ લોકો રાવલકોટમાં એકઠા થયા છે અને તેમને 20 હજારથી વધુ પાકિસ્તાની સેના, રેન્જર્સ, સિંધ પોલીસે ઘેરી રાખ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક