સાગરમાં અરેરાટી, ચાર ગામમાં શોક ફેલાયો, હજુયે મરણાંક વધવાની ભીતિ
ભોપાલ,
તા. 6 : મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં લઠ્ઠાકાંડની
એક અત્યંત દુ:ખદ અને આંચકાજનક ઘટના સામે આવી છે. અહીં ઝેરી અને ગેરકાયદેસર દારૂ પીવાના
કારણે ચાર અલગ-અલગ ગામોના 11 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં
અફરાતફરી મચી ગઈ છે અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું છે.
મળતી
માહિતી મુજબ, સાગર જિલ્લાના ઘૂઘર, નૌરાજ, બરાજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકોએ
શનિવારે રાત્રે દારૂનું સેવન કર્યું હતું. દારૂ પીધાના થોડા સમય બાદ જ લોકોની તબિયત
અચાનક લથડવા લાગી હતી. પરિજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય તે પહેલાં જ પરિસ્થિતિ
ગંભીર બની ગઈ હતી.
રવિવારે
સવારે તમામ અસરગ્રસ્તોને બંડા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક તપાસ
બાદ ડોક્ટરોએ 11 લોકોને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોનું માનવું છે કે મૃત્યુનું પ્રાથમિક
કારણ ઝેરી દારૂ જ છે. આ ઘટનામાં હજુ પણ કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક
વધવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની
ગંભીરતાને જોતાં જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું
કે, જો કોઈ વ્યક્તિએ છેલ્લા 24થી 48 કલાકમાં દારૂ પીધો હોય અથવા કોઈ પણ અસામાન્ય લક્ષણ
દેખાય, તો તેમણે તુરંત જ તબીબી તપાસ કરાવવી જોઈએ. હાલમાં એસડીએમ અને ડોક્ટરોની ટીમ અસરગ્રસ્ત ગામોમાં ઘરે-ઘરે જઈને
લોકોનું ક્રીનિંગ કરી રહી છે.