બે માસૂમ બાળકોએ ગુમાવી માતાની છત્રછાયા
વઢવાણ,તા.6:સુરેન્દ્રનગર
શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામદેવનગરમાં કૌટુંબિક કલહના કારણે
પ્રેમલગ્નના પાંચ જ વર્ષમાં એક પતિએ પોતાની જ પત્નીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી
નાખતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે, અને આ લોહિયાળ ઘટનાને કારણે એક
મહિનાના શિશુ સહિત બે માસૂમ બાળકોએ ક્ષણભરમાં માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
મળતી
વિગતો અનુસાર રામદેવનગરમાં રહેતા રાહુલ નાનજીભાઈ પારધી અને તેની પત્ની દરખાસ્તબેન ઉર્ફે
ગુલ્લુ વચ્ચે રાત્રિના સમયે થયેલી ઉગ્ર માથાકૂટ દરમિયાન પતિ રાહુલે આવેશમાં આવી પત્નીના
કપાળ, ગળા અને શરીરના ભાગો પર અતિ ક્રૂરતાપૂર્વક ઢોરમાર માર્યો હતો અને ગંભીર રીતે
ઘવાયેલી પત્નીને સારવાર અપાવવાને બદલે ઘર બહારથી બંધ કરીને ફરાર થઈ જતાં સમયસર સારવાર
ન મળવાને કારણે તેણે તડપી-તડપીને દમ તોડી દીધો હતો.
જેથી આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભદ્રરાજાસિંહ
લાલુભા ઝાલાની ફરિયાદના આધારે અગાઉ પણ દારૂના ગુનાઓમાં ચડી ચૂકેલા આરોપી રાહુલ પારધી
સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.