અરજદારને ઉચિત એજન્સી સમક્ષ રજૂઆત કરવા આપેલી સલાહ
નવી દિલ્હી,તા.14: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર 6 વર્ષ માટે ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી દેવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ખારિજ કરી નાખી હતી.
આ અરજીમાં ફાતિમાએ ચૂંટણીપંચને પણ પક્ષકાર બનાવ્યું હતું અને આમાં વડાપ્રધાન મોદી ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેઓ ભગવાન અને મંદિરનાં નામે મત માગીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સતત ભગવાન અને મંદિરનાં નામે મત માગે છે તે ખોટું છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તેમનાં ઉપર 6 વર્ષ માટે ચૂંટણી લડવાની રોક લગાવી દેવી જોઈએ.
આ અરજીને જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સતીશચંદ્ર શર્માની પીઠે ખારિજ કરી નાખી હતી. અદાલતે અરજદારને કહ્યું હતું કે, આ મામલે સુપ્રીમ કોર્ટ કોઈ ફેંસલો લઈ શકે નહીં. તેનાં માટે યોગ્ય એજન્સી સમક્ષ રજૂઆત થવી જોઈએ.