લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
રાજકોટ,
તા.4: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા
જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન
બનાવવાનું વડાપ્રધાનનું સપનું સાકાર થયું છે. રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે
અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ
વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.
વધુમાં
કહ્યું કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવની શરૂઆત
કરાવતા કહ્યુ હતું કે, એક દિવસ દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને
માણશે. આ વાત આજે સાચી થઈ છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને
ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડથી નવાજ્યુ છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોક
સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનશ્રીનો વિરાસત ભી, વિકાસ
ભી અભિગમ સાકાર થયો છે. રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને
વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલા કારીગરી
ચીજવસ્તુઓને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ મળ્યો છે. સફેદ રણ સુધી પ્રવાસીઓ
સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી
વડાપ્રધાનના વિઝનથી મળી છે તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગત
રણોત્સવમાં 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો છે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા એકત્વ એક દેશ,
એક ગીત, એક ભાવના થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા
અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું
ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ
અને ધોરડોના રૂ. 179 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત શ્રમ અને
રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ
છાંગાની ઉપસ્થિતિમાં કર્યા હતા. ધોરડો ખાતે મુખ્યમંત્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના
સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો. તેમણે ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના
અખંડ ભારત, એક ભારતના વિઝનને જનજન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું
લોકાર્પણ કર્યું હતું.