નવી દિલ્હી, તા.23ઃ તેહરાનનાં પરમાણુ કાર્યક્રમ મુદ્દે હવે ઈરાન ઉપર અમેરિકા ગમે ત્યારે આક્રમણ કરે તેવી આશંકા અને તનાવની ચરમસીમાને ધ્યાને રાખતાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપી છે. આ સાથે જ નાગરિકોને પોતાનાં યાત્રા અને ઓળખનાં દસ્તાવેજ તૈયાર રાખવા અને દૂતાવાસથી સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
જે લોકોએ દૂતાવાસમાં નોંધણી નથી કરાવી તેમને નામ નોંધણી પણ કરાવી
લેવા માટે કહેવામાં આવ્યાં છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે નાગરિકોને સૂચના આપી છે
કે, બદલાતી સ્થિતિને ધ્યાને
રાખતા વિમાન સહિતનાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને ઈરાન છોડી જાય. આ ઉપરાંત નાગરિકોને
પોતાનાં દસ્તાવેજો પણ તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સીવાય હેલ્પ લાઈન નંબર
પણ જારી કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા સતત ઈરાન ઉપર પરમાણુ સમજૂતિ
મામલે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને ઈરાનને અમેરિકા દ્વારા પાંચ તરફ
ઘેરવામાં આવ્યું છે અને કોઈપણ સમયે ઈરાન ઉપર હુમલો થશે તેવા અહેવાલો સતત સામે આવી રહ્યા
છે. ઈરાનમાં પણ સતત સત્તા વિરોધી હવા ચાલી
રહી છે. જેમાં પહેલા લોકો દ્વારા પ્રદર્શન
કરવામાં આવ્યું હતું અને છાત્રો પ્રદર્શન કરવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. જેમાં ખામેનેઈની
મોત સુધીના નારા લગાડવામાં આવી રહ્યા છે.