આરોપીનાં ઘરેથી બિયરનો જથ્થો અને અમુક દસ્તાવેજો મળી આવતા તે દિશામાં પણ તપાસ
મોરબી, તા.22 : મોરબીમાં સોની
યુવાનની હત્યા બાદ પોલીસ સામે આક્રોશ જોવા મળ્યો છે. મોરબી જ નહીં રાજકોટ અને વાંકાનેરની
સોની બજારો બંધ રાખી પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા હતા ત્યારે પોલીસે અનેક ગુનામાં
સંડોવાયેલા આરોપી બી કે બોરીચાને ઝડપી પાડી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
મોરબીમાં વ્યાજખોરી, દારૂ અને
જમીન પચાવી પાડવા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી બી કે બોરીચાનું શનાળા રોડ
પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે અંગે ડીવાય.એસ.પી. જે એમ આલે
જણાવ્યું હતું કે આરોપી બી કે બોરીચાનાં ઘરેથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી દારૂના
ગુનાઓ ઉપરાંત વ્યાજ અને જમીન પચાવી પાડવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આરોપીના
મકાનમાંથી દસ્તાવેજો મળી આવતા તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે અને અંતમાં કાયદામાં
રહેશો તો ફાયદામાં રહેશો તેવી ચેતવણી ડીવાય.એસ.પી.એ આપી હતી.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં સોની
યુવાનની હત્યા બાદ આક્રોશ જોવા મળ્યો હતો. યુવાનનાં બેસણાં બાદ મૌન રેલી યોજી લોકો
રોડ પર બેસી ગયા હતા અને ભારે હંગામા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ તેમજ કડક
કાર્યવાહીની ખાતરી બાદ લોકોનો રોષ શાંત પડયો હતો.