• સોમવાર, 02 માર્ચ, 2026

ખાડી દેશોમાંથી ભારતીયોને પરત લાવવા અભિયાનની તૈયારી

90 લાખ ભારતીયોની સુરક્ષાને પ્રાધાન્ય

નવી દિલ્હી, તા. 1 : ઈરાન ઉપર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ખાડી વિસ્તારમાં ઝડપથી બદલતી સ્થિતિએ ભારતની ચિંતા વધારી દીધી છે. ઈરાન તરફથી અમુક સમયના ગાળામાં જ ખાડી વિસ્તારના સાત દેશને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેનાથી વ્યાપક સૈન્ય સંઘર્ષ શરૂ થવાની પૂરી સંભાવના છે. આ દરમિયાન આ સાત દેશમાં રહેતા અંદાજિત 90 લાખ ભારતીયની સુરક્ષા ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બની છે.

ઇમર્જન્સીની સ્થિતિમાં રહેનારા અંદાજિત 90 લાખ ભારતીયની સુરક્ષા ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેમજ સમગ્ર વિસ્તારમાંથી ભારતીયોને બહાર લાવવાના વિકલ્પ ઉપર યોજના બની રહી છે. આ મામલે નાગરીક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલય વચ્ચે સંવાદ શરૂ થઈ ચૂક્યો છે. શનિવારે ઈરાને બહરીન, યુએઈ, કતર, સાઉદી અરબ, જોર્ડન, કુવૈન, કુવૈત અને ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલાથી વધુ જાનમાલના નુકસાનના અહેવાલ તો નથી પણ સંકેત મળી રહ્યા છે કે આ વખત ઈરાન યુદ્ધને વિસ્તાર આપવાની તૈયારીમાં છે. આ તમામ દેશમાં કાર્યરત ભારતીય સમુદાય તેલ-ગેસ, નિર્માણ, સ્વાસ્થ્ય, શિક્ષા અને સેવા ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સૌથી વધારે ભારતીય યુએઈમાં છે. જેની સંખ્યા 40 લાખથી વધારે છે, બાદમાં સાઉદીમાં 27 લાખથી વધારે ભારતીય છે. તેવામાં વર્તમાન યુદ્ધની સ્થિતિ જો ગંભીર બને તો આ બન્ને દેશને ઈરાન તરફથી નિશાન બનાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. ભારત પહેલા પણ ખાડી ક્ષેત્રમાં યુદ્ધ શરૂ થતા નાગરીકોને સુરક્ષિત સ્વદેશ લઈ આવવાનું અભિયાન ચલાવી ચૂક્યું છે.

--------------

ઈઝરાયલ-ઈરાન જંગ વચ્ચે મળી CCS બેઠક

નવી દિલ્હી, તા. 1 : ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પૂરા ખાડી વિસ્તારમાં ફેલાઈ ચૂક્યું છે. આ મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. પોતાના બે દિવસના પ્રવાસ બાદ મોદી રાતના દિલ્હી પહોંચ્યા હતા અને બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકનો મુખ્ય મુદ્દો ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નવા ઘટનાક્રમ અને યુએઈ સહિત તમામ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરીકોની સુરક્ષા સંબંધિત રહ્યો હતો.

વડાપ્રધાનની આ બેઠક એટલે પણ મહત્ત્વની રહી હતી કારણ કે ઈરાનમાં મોટી સંખ્યામાં ભારતીય છાત્ર અને સામાન્ય લોકો વસે છે. આ ઉપરાંત ઈરાન દ્વારા કરવામાં આવેલા પલટવારથી મિડલ-ઈસ્ટના તમામ દેશ પ્રભાવિત થઈ રહ્યા છે. પૂરા ક્ષેત્રનું એર સ્પેસ બંધ છે. જેનાં કારણે હજારોની સંખ્યામાં ભારતીય ફસાયેલા છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ખામેનેઈનું મૃત્યુ થયું છે. ભારતે આ હુમલાથી બગડેલા ક્ષેત્રી માહોલને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક