• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

અંતહીન યુદ્ધનો અંત લાવો : પુતિનને મોદીની સલાહ

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યુદ્ધને મોદીએ ગણાવ્યો માનવતા માટે ખતરો : પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની મુલાકાત ઉપર દુનિયાની નજર : ઝિનપિંગ સાથે પણ મુલાકાત થશે

 

નવી દિલ્હી, તા. 31 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉઝ્બેકિસ્તાનની બે દિવસની યાત્રા પુરી કરીને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચેલા છે. જ્યાં પીએમ મોદીની મુલાકાત ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ દરમિયાન પુતિન સાથેની બેઠકમાં પીએમ મોદીએ ફરી એક વખત ભારતનું વલણ દોહરાવતા વાતચીત મારફતે શાંતિની તરફેણ કરી હતી અને સંદેશ આપ્યો હતો કે માનવતાની ભલાઈ માટે અંતહીન યુદ્ધથી યુદ્ધના અંત તરફ જવું પડશે. બીજી તરફ પુતિને ભારત-રશિયા વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. બેઠક બાદ મોદી અને પુતિન એક જ કારમાં બેસીને નોમેડ ગેમ્સ કાર્યક્રમ માટે રવાના થયા હતા. જેનાથી ફરી ‘કાર ડિપ્લોમસી’ ની ઝલક જોવા મળી હતી. આ ઉપરાંત ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ મિડલ ઈસ્ટમાં શાંતિ માટે કરવામાં આવતા તમામ પ્રયાસોનું સમર્થન કર્યું હતું તેમજ ઈરાન સાથે વેપારનો દાયરો વધારવા તેમજ વિવિધતા લાવવાની વાત કરી હતી. મુલાકાતમાં પેજેશ્કિયાને કહ્યું હતું કે, મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા મજબૂત કરવામાં ભારત ઘણી મદદ કરી શકે તેમ છે. વર્તમાન સમયે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જ્યારે યુક્રેન યુદ્ધ મુદ્દે પણ અમેરિકા રશિયાના વિરોધમાં છે. આવા સમયે બન્ને દેશના રાષ્ટ્રાધ્યક્ષ સાથે મોદીની મુલાકાતે વૈશ્વિક રાજનીતિમાં મોટો સંદેશ આપ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બિશ્કેકમાં શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન વચ્ચે મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓએ ભારત રશિયા સંબંધોની સાથે વિભિન્ન મુદ્દે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતનું વલણ દોહરાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત યુક્રેન યુદ્ધ મુદ્દે કરવામાં આવતા તમામ શાંતિપૂર્ણ પ્રયાસનું સમર્થન કરે છે અને આગળ પણ કરતું રહેશે. મોદીએ મહત્વનો સંદેશ આપતા ઉમેર્યું હતું કે માનવતાની ભલાઈ માટે અંતહિન યુદ્ધથી યુદ્ધના અંત સુધી જવું પડશે.

જ્યારે રાષ્ટ્રપતિ પુતિને ભારત અને રશિયા વચ્ચે મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. પુતિને કહ્યું હતું કે બન્ને દેશના સંબંધ સતત મજબૂત બની રહ્યા છે અને તેમાં પીએમ મોદીની વ્યક્તિગત રૂચિ અને ધ્યાન મહત્વની ભૂમિકામાં છે. પુતિને ભારત અને રશિયા વચ્ચેના વેપાર અને આર્થિક સહયોગ અંગે સકારાત્મક વલણ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે દ્વિપક્ષીય વેપારમાં બે ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે.

જ્યારે પીએમ મોદીએ સપ્ટેમ્બરમા ંદિલ્હીમાં થનારા બ્રિક્સ શિખર સંમેલનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની સંમેલન માટે ભારત યાત્રા બન્ને દેશના સંબંધોને મજબૂતી આપશે. પીએમ મોદીએ વાતચીત દરમિયાન શાંતિ અને સંવાદ ઉપર ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે, તમામ સમસ્યાઓનું સમાધાન શાંતિપુર્ણ રીતે આવવું જોઈએ. વર્તમાન સ્થિતિમાં પુરી માનવતાને શાંતિની જરૂર છે. મોદી અને પુતિન વચ્ચે બેઠક અડધો કલાકથી વધારે ચાલી હતી. આ બેઠકમાં વૈકલ્પિક સપ્લાય રૂટ, ક્ષેત્રીય કનેક્ટિવિટી અને બહુપક્ષીય સહયોગ જેવા મુદ્દા ચર્ચાયા હોવાનું સૂત્રોમાંથી સામે આવ્યું હતું.  બેઠક બાદ પુતિન અને મોદી એકસાથે નોમેડ ગેમ્સ કાર્યક્રમ માટે રવાના થયા હતા. બન્ને નેતાઓનું એક જ ગાડીમાં રવાના થવું ફરી એક વખત ‘કાર ડિપ્લોમસી’ની ઝલક તરીકે જોવામાં આવ્યું હતું.

આ અગાઉ પીએમ મોદીએ સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બિશ્કેકમાં જ થઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે ભારત આગામી સમયમાં ઈરાન સાથે વેપારનો દાયરો વધારવા અને તેમાં વિવિધતા લાવવા માગે છે. ભારત પશ્ચિમ એશિયામાં સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવાના પ્રયાસોનું સમર્થન યથાવત્ રાખશે. પીએમ મોદીએ આ વાત એવા સમયે કરી છે જ્યારે અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો ઉપર પ્રતિબંધની ધમકી આપી છે.

પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું હતું કે, બિશ્કેકમાં રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે મુલાકાત થઈ હતી. જેમાં ઈરાન સાથે ભારતની જુની મિત્રતાને અલગ અલગ ક્ષેત્રોમાં મજબૂત કરવાના સંકલ્પને દોહરાવ્યો હતો. આગામી સમયમાં ભારત ઈરાન સાથેના વેપારના દાયરાને વધારવા અને તેમાં વિવિધતા લાવવા માગે છે. વધુમાં ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં મિડલ ઈસ્ટમાં શરૂ થયેલા સંઘર્ષ બાદ બન્ને નેતાઓની આ પહેલી આમનેસામને મુલાકાત હતી.

મુલાકાતમાં પેજેશ્કિયાને પીએમ મોદીને કહ્યું હતું કે, અમેરિકાએ પોતાના વચનો પુરા કર્યા નથી, તેમ છતાં ઈરાન એક અંતિમ સમજૂતીએ પહોંચવા પ્રતિબદ્ધ છે. વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા મજબૂત કરવામાં ભારત ઘણી મદદ કરી શકે છે. અમેરિકામાં એવા લોકો છે જે યુદ્ધ ચાલુ રહે તેવું ઈચ્છે છે.

 

એક મહિના બાદ ફરી અમેરિકા-ઈરાન વચ્ચે વિસ્ફોટોની ધણધણાટી

 

નવી દિલ્હી, તા.31: એક માસની શાંતિ પછી અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સૈન્ય ઘર્ષણની ધણધણાટી સંભળાવા માંડી છે. રવિવારે અમેરિકાની સેનાએ ઈરાનનાં લાર્ક દ્વીપને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો હતો. જેમાં અમેરિકાએ બે રોકેટ લોન્ચર્સ ઉપર સીધો પ્રહાર કર્યો હતો. બીજીબાજુ ઈરાને જોર્ડન અને યુએઈમાં અમેરિકાનાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતાં. તા.30 જુલાઈ પછી રવિવારે પહેલીવાર અમેરિકાએ ઈરાન ઉપર પહેલો મોટો હુમલો કર્યો હતો. થોડા દિવસ પૂર્વે જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યુ હતું કે, ઈરાન સાથે યુદ્ધ અટકયું નથી. તેમણે હુમલાની ચેતવણી પણ આપી હતી. ત્યારબાદ આ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાનો દાવો છે કે, ઈરાનની સેના રિવોલ્યુશ્નરી ગાર્ડનાં જવાનો હોર્મુઝ જળમાર્ગમાં રોકેટ અને બારુદી સરંગથી હુમલો કરવાનાં હતાં. જેની સામે તકેદારીનાં ભાગરૂપે રવિવારે કાર્યવાહી કરવામાં આવી હતી.

અમેરિકાનાં આ હુમલા પછી ઈરાને પણ પલટવાર કરવામાં જરાય સમય લીધો નહોતો. ઈરાને યુએઈમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યાનો દાવો કર્યા પછી યુએઈનાં સંરક્ષણમંત્રીએ અલ-મિનહાદ એરબેઝ ઉપર હુમલો થયાનો દાવો ખારિજ કરી નાખ્યો હતો.

ઈરાની સેનાએ કહ્યું હતું કે, લાર્ક દ્વીપમાં અમેરિકાનાં હુમલામાં અનેક ઈરાની સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા હતાં અને ઘાયલ થયા છે. ઈરાનનાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયને કહ્યું હતું કે, તહેરાન યુદ્ધ નથી ઈચ્છતું પણ કોઈપણ આક્રમકતા સામે ચુપ રહેવામાં નહીં આવે.

છેલ્લા છ મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. 29 જુલાઈ પછી અમેરિકાનો ઈરાન પર આ પહેલો સીધો સૈન્ય હુમલો છે.

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મિડ ટર્મ ચૂંટણીઓ પહેલાં ઈરાન સાથે વધી રહેલાં યુદ્ધને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પર રાજકીય દબાણ વધી રહ્યું છે. ડેમોક્રેટિક સેનેટરોનું કહેવું છે કે, છ મહિનાનો સમય વીતવા છતાં પણ યુદ્ધનું કોઈ ચોક્કસ ધ્યેય પ્રાપ્ત થયું નથી અને તેનાથી મિડલ ઈસ્ટમાં અમેરિકાની સ્થિતિ નબળી પડી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યુyં છે. લારક ટાપુ પર હુમલો કર્યા બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાનના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઈલ નિકાસ કેન્દ્ર એવા ‘ખાર્ગ આઇલેન્ડ’ને પણ અમેરિકાએ નિશાન બનાવીને સંપૂર્ણપણે તબાહ કરી દીધું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક