- ફોન પર વાત કરતા-કરતા અચાનક દીકરીએ જીવનલીલા ટૂંકાવી, પિતાના અવસાન બાદ માતાનો એકમાત્ર સહારો છીનવાયો
રાજકોટ,તા.19ઃરાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં શનિવારે સવારે એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. અહીં અભ્યાસ કરતી મૂળ આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલના 10મા માળેથી ઝંપલાવીને પોતાની જિંદગીનો અંત આણ્યો છે. આ બનાવથી સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિનીનું નામ અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા હતું. તે કોમ્પ્યુટર એન્જિનિયારિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ કોર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. શનિવારે સવારે 10 વાગ્યાના
અરસામાં સૌબર્નિકા હોસ્ટેલની એ વિંગના 10મા માળે ફોન પર કોઈની સાથે વાતચીત કરી રહી હતી. વાતચીત કરતાં-કરતા જ તેણે અચાનક નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી દ્વારા તુરંત 108 એમ્બ્યુલન્સને
બોલાવવામાં આવી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ મામલે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીસ નીધીશે જણાવ્યું હતું કે, યુવતીએ કયા કારણોસર આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આંધ્રપ્રદેશમાં રહેતા પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. પરિવારના સભ્યો રાજકોટ પહોંચ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહ તેમને સોંપવામાં આવશે.
પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે તે છેલ્લે કોની સાથે અને શું વાતચીત કરી રહી હતી. આ ઉપરાંત, હોસ્ટેલમાં તેની સાથે રહેતી પિતરાઈ બહેન અને અન્ય સહપાઠી વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને આપઘાતનું સાચું કારણ જાણવા માટે કુવાડવા પોલીસ મથકનાપી.એસ.આઈ. એમ.આર. મકવાણાએ મૃતક યુવતીનો મોબાઈલ તપાસ અર્થે હસ્તગત કરવામાં આવ્યો હતો,પરંતુ મોબાઈલ લોક હોવાથી પોલીસે મોબાઈલ લોક ખોલવા અને છેલ્લી વાત કોની સાથે કરી હતી તે અંગે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
------------------
એકની એક દીકરીના મૃત્યુથી માતા પર આભ તૂટ્યું
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે થોડા સમય પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવનાર અને મામાના સહારે ભણતી સૌબર્નિકાનું અણધારી રીતે મૃત્યુ થવાથી આંધ્રપ્રદેશમાં રહેતી તેની માતા સાવ એકાકી બની ગઈ છે. પતિ બાદ દીકરીના પણ આકસ્મિક મૃત્યુથી માતા પર જાણે આભ તૂટી પડ્યું છે.
---------------
રૂમમેટ અને પ્રોફેસરોના નિવેદન
કુવાડવા પોલીસ મથકના પી.એસ.આઈ. મકવાણાના જણાવ્યા અનુસાર, પરીક્ષા પૂરી થતાં વિદ્યાર્થીઓ રિલેક્સ મુડમાં હતા અને આરામ કરી રહ્યા હતા, ત્યારે યુવતીએ 10મા માળે પોતાના રૂમમાંથી દોડીને ગેલેરીની ઊંચી દીવાલ કૂદી આપઘાત કર્યો હતો. પોલીસે તેનો ફોન બેડ પરથી કબજે કર્યો છે. કોલેજના પ્રોફેસરોના કહેવા મુજબ, મૃતક યુવતી ભણવામાં ખૂબ હોશિયાર હતી અને તેના પર ભણતરનો કોઈ જ માનસિક ભાર ન હતો. શુક્રવારે જ તેણે મારવાડી યુનિવર્સિટીના ગણેશ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રૂમમેટ અને સહપાઠી વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, અને પ્રાથમિક તપાસમાં આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ રહ્યું છે.