• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

સુકાની તરીકે શ્રેયસ દમદાર, પણ બાટિંગમાં ફ્લોપ દેખાવ

ઝિમ્બાબ્વે સીરિઝમાં 80, અફઘાનિસ્તાન સામે 48, આયર્લેન્ડ સામે માત્ર 13 રન બનાવ્યા

મુંબઈ, તા.19 : સૂર્યકુમાર યાદવ ટી20માં રન બનાવી રહ્યો નહોતો. તેણે સુકાની પદેથી હટાવવાનું આ પણ મોટું કારણ હતું. મેનેજમેન્ટે ભલે ઉંમર અને ભવિષ્યની રણનીતિનું કારણ આગળ ધર્યું હોય પરંતુ વાસ્તવિકતા એ પણ હતી કે, તે ફોર્મમાં નહોતો. શ્રેયસ ઐયરનું ફોર્મ પણ સૂર્યાના રસ્તે છે.

સૂર્યાની બાદબાકી પછી મેનેજમેન્ટે શ્રેયસ ઐયરને ટીમની કમાન સોંપી હતી. શરૂઆતના સમયમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ભારત આયર્લેન્ડ સામે 2-0 થી સિરીઝ હારી ગયું અને ઇંગ્લેન્ડ સામે પણ કારમી હારનો સામનો કરવો પડયો હતો. જોકે, ઝિમ્બાબ્વે સિરીઝથી ભારતે લય પકડી અને હવે અફઘાનિસ્તાનને પણ ઘરઆંગણે 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. છેલ્લી બે સિરીઝમાં શ્રેયસ ઐયરની કપ્તાનીમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન ચોક્કસ કર્યું છે, પરંતુ એક બેટ્સમેન તરીકે તે અપેક્ષાઓ પર ખરો ઊતરી શક્યો નથી.

ઝિમ્બાબ્વે સામે વૈભવ સૂર્યવંશી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો પરંતુ સુકાની શ્રેયસ ઐયરે ત્રણેય મેચમાં કુલ મળીને માત્ર 80 રન કર્યા હતા. તે એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં માત્ર 48 રન જ નોંધાવી શક્યો હતો. આયર્લેન્ડ સામેની સિરીઝમાં પણ શ્રેયસ ઐયરનું પ્રદર્શન એકદમ સરેરાશ રહ્યું હતું. સિરીઝની બે મેચમાં તેણે કુલ મળીને માત્ર 13 રન જ બનાવ્યા હતા. આવી સ્થિતિમાં જો શ્રેયસ ઐયરે લાંબા સમય સુધી ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું હશે, તો કપ્તાનીની સાથે બાટિંગમાં પણ નિરંતરતા લાવવી પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક