કેરળમાં ડાબેરી પક્ષોનો મોરચો હવે ત્રીજી ટર્મની સત્તા નહીં મેળવે એવો કૉંગ્રેસને વિશ્વાસ છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં લોકોએ ડાબેરી પક્ષોને જબરદસ્ત જાકારો આપ્યો હોવાથી આગામી એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસી મોરચાને બહુમતી મળવાની આશા છે. કૉંગ્રેસ અને રાહુલ ગાંધી માટે રાહત અને આનંદનો અવસર છે પણ થિરુઅનંતપુરની સુધરાઈમાં ભાજપનો જયજયકાર થયો, ભગવો ફરક્યો હોવાથી કૉંગ્રેસી નેતાઓના હરખમાં આંચકો લાગ્યો છે. દક્ષિણ ભારતમાં ભાજપનો વ્યાપ હવે કેરળ ઉપરાંત તામિલનાડુમાં પણ આશા આપે છે. કેરળના પાટનગરમાં માર્ક્સવાદીઓની ત્રણ દાયકાની પકડ તોડવાનો યશ ભાજપને મળે છે; રાજ્યના મુખ્ય વિપક્ષ - કૉંગ્રેસી મોરચાને રંજ છે કે તેના આનંદમાં ભંગ પડયો છે.
થિરુઅનંતપુરમના
100 વૉર્ડમાંથી 50માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે જ્યારે કૉંગ્રેસની બેઠક સંખ્યા
10થી વધીને 19 થઈ છે. ડાબેરી મોરચાને 29 બેઠકો મળી છે અને બે અપક્ષ ઉમેદવારો ચૂંટાયા
છે. ભાજપને મેયર પદ મળતાં વિશેષ આનંદ છે. વડા પ્રધાન મોદીએ કેરળના પરિણામને વધાવીને
મતદારોનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો છે. વિકાસ અને જનજીવનના ઉત્કર્ષનું વચન આપ્યું
છે. ભાજપે છેલ્લાં દસ વર્ષમાં 35 બેઠકો જાળવી હતી હવે 50 થઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં
હવે ત્રિપક્ષી મુકાબલો હશે.
થિરુઅનંતપુરમની
લોકસભા બેઠક ઉપર ચૂંટાયેલા શશી થરૂરે કહ્યું છે કે એમણે કૉંગ્રેસનો પ્રચાર કર્યો પણ
લોકોએ ભાજપને સમર્થન આપ્યું છે તે સ્વીકારીને વિજયોત્સવમાં તેઓ સામેલ થયા છે. વિધાનસભાની
ચૂંટણીમાં શશી થરૂર ભાજપ સાથે રહેશે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ પણ થઈ છે. તેઓ
ભાજપ અને વડા પ્રધાન મોદીના પ્રશંસક હોવાથી કૉંગ્રેસ હાઈ કમાન્ડ નારાજ હોવા છતાં સંયમ
જાળવીને પ્રત્યાઘાત આપ્યા છે. જયરામ રમેશે કહ્યું છે કે કૉંગ્રેસ લોકતાંત્રિક પક્ષ
છે અને ચૂંટણી પહેલાં અને પછી પણ વાણીસ્વાતંત્ર્ય સ્વીકારે છે.
ડાબેરી
મોરચાના વળતાં પાણી માટે મુખ્ય કારણ - લોકોએ પરિવર્તન માટે વોટ આપ્યા ઉપરાંત ભ્રષ્ટાચાર
છે. શબરીમાલા મંદિરના ભંડારમાંથી સોનાની લૂંટ થઈ તેમાં ડાબેરી પક્ષના સિનિયર નેતા પકડાયા
છે. મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારોનું સમર્થન ડાબેરી મોરચાએ ગુમાવ્યું છે. મુખ્ય પ્રધાન
પિનારાઈ વિજયન કહે છે કે સેક્યુલરવાદમાં માનતા લોકો માટે આ પરિણામ આઘાત અને ચિંતાકારક
છે! વાસ્તવમાં ડાબેરી અને કૉંગ્રેસ - બંને મોરચાના નેતાઓએ જમાત-એ-ઇસ્લામીને ખુશ રાખીને
ટેકો મેળવવાના પ્રયાસ કર્યા છે. ઇન્દિરા ગાંધીએ દાયકાઓ પહેલાં કેરળ મુસ્લિમ લીગ સાથે
ભાગીદારી કરી હતી અને બચાવ કર્યો હતો - કેરળના મુસ્લિમો ઉત્તર ભારતના મુસ્લિમોથી જુદા
છે - એમ કહીને!