• બુધવાર, 02 એપ્રિલ, 2025

તાલાલામાં કેસર કેરીના પાકનો હવે કેન્દ્રના આદેશથી સર્વે કરાશે

ગ્લોબલ વોર્મિંગથી નુક્સાની થયાના બાગાયતના ખોટાં સર્વે પર કેન્દ્રની તીખી પ્રતિક્રિયા

તાલાલા,તા.29(ફૂલછાબ ન્યૂઝ) તાલાલા પંથકમાં કેરીનો પાક ગ્લોબલ વોર્મીંગને લીધે નાશ પામ્યાના બાગાયત વિભાગના સર્વેની ફેર તપાસ કરવાનો આદેશ ભારત સરકારે આપ્યો છે. તાજેતરમાં બાગાયત વિભાગે કેરીના પાકનો સર્વે કરીને પાક નાશ પામ્યો છે અને આંબા કપાય રહ્યા છે તેવી જાહેરાત કરી હતી. જોકે કિસાનોમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. નુક્સાન થયું હોય વળતર ચૂકવવા માગ થઇ હતી. ખેડૂતોની માગને સફળતા મળી છે.

કિસાનોએ કહ્યું કે,  બાગાયત વિભાગના બાબુઓએ કેરીના પાકનો અહેવાલ ખોટો મોકલી કિસાનોને હળાહળ અન્યાય કર્યો છે. આ દિશામાં ત્વરિત તપાસ કરી તાલાલા પંથકના કિસાનોને ન્યાય અપાવવા ધવલ કોટડીયા, જાવંત્રી ગીરના સરપંચ અલ્તાફભાઈ બ્લોચે કેન્દ્ર સરકારના નવી દીલ્હી ખાતેની કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સુધી રજૂઆત કરી હતી. એના પડઘા પડયા છે. સરકારે પાકના સર્વેનો આદેશ કર્યો છે.

તાલાલા પંથકના કેરીના પાકની તુરંત તપાસ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારના બાગાયત નિયામક-ગાંધીનગર ને ભારત સરકારે આદેશ કરાયો છે. તાલાલા પંથકમાં 15 હજાર હેક્ટર થી અધિક વિસ્તારમાં કેસર કેરીના બગીચા આવેલ છે જેમાં 17 લાખ જેટલા આંબાના વૃક્ષો નું વાવેતર છે. કેસર કેરીના પાકમાં અવિરત ઘટાડો થતો જાય છે જેમાં છેલ્લા બે વર્ષથી ગ્લોબલ વોર્મિંગે કેસર કેરીના પાકને ભરડો લીધો હોય મોટાભાગનો કેરીનો પાક નાશ પામ્યો છે.તાલાલા પંથકના નાશ પામેલ પાકનું સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને યોગ્ય વળતર આપવા સર્વ પક્ષીય તથા કિસાન સંગઠનો દ્વારા પણ આવેદનપત્રો દ્રારા માંગણીઓ પણ થઈ છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક