રાજકોટ તા.14: રીબડાના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં એક વધુ મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી રાજદીપાસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી છે, કારણ કે તેમની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ગોંડલ સેશન કોર્ટ અને ગુજરાત
હાઇકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ રાજદીપાસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીને ફગાવી
દેતા તેમને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને યથાવત
રાખવાનો હુકમ કર્યો છે. રાજદીપાસિંહ જાડેજાએ આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ
કરેલી અરજી ફગાવી દેવાતા હવે તેમની મુશ્કેલીઓ વધી છે અને તેમને જેલની હવા ખાવી પડી
શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર બાદ રાજદીપાસિંહ જાડેજાની ધરપકડની
પૂરી શક્યતા છે. આ ચુકાદાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં ન્યાયની આશા સેવી રહેલા પરિવારને
રાહત મળી છે, જ્યારે રાજદીપાસિંહ જાડેજા સામે કાયદાકીય કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ
ગયો છે.