• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

જૂનાગઢ કોંગ્રેસ ભવનમાં કાર્યકર અને પ્રદેશ ઉપાધ્યક્ષ વચ્ચે જામી પડી મામલો તંગ બનતા શહેર કોંગ્રેસ પ્રમુખે વચ્ચે પડી મામલો થાળે પાડયો

જૂનાગઢ, તા.12 : જૂનાગઢ કોંગ્રેસ ભવનમાં આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાવા આવેલા કાર્યકરો અને પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર અને પ્રદેશ ઉપાધ્યક્ષ વચ્ચે કોઈ મુદ્દે ટપાટપી થઈ હતી.જોકે શહેર કોંગ્રેસ પ્રમુખે સમજાવટથી મામલો થાળે પાડયો હતો. 

આમ આદમી પાર્ટીથી નારાજ થઈ કોંગ્રેસમાં જોડાવા માટે ધીરુભાઈ ગોહેલ તથા તેમના ટેકેદારો કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા અને કોંગ્રેસ કાર્યકર પંકજ ભરડા વચ્ચે કોઈ મુદ્દે ટપાટપી શરૂ થઈ હતી અને મામલો તંગ બન્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ પણ આ તમાશો જોઈ રહ્યા હતા ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.

કોંગ્રેસ આગેવાન અને કાર્યકર વચ્ચે ક્યાં મુદ્દે તૂ તૂ મૈં મૈં  થઈ તે બહાર આવ્યું નથી પરંતુ આ બબાલથી કોંગ્રેસ ભવનમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો ચોકી ઉઠયા હતા. તેમાં બન્ને એકબીજાને સાચું ખોટું ઘણું જાહેરમાં સંભળાવી દીધું હતું. અંતે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ સમય ઝઘડવાનો નથી તેની ચૂંટણી ઉપર અસર પડશે તેમ કહી વાતાવરણ શાંત પાડ્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક