• શનિવાર, 27 જુલાઈ, 2024

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એરફોર્સનાં ફાઇટર પ્લેન ઉતર્યાં

એક પછી એક ચાર જેગુઆર વિમાન આવ્યાં : યુદ્ધ કે ઇમર્જન્સીના સમયે રાજકોટ એરપોર્ટના ઉપયોગની સંભાવના ચકાસવાનો હેતુ ?

રાજકોટ, તા. 1 (ફૂલછાબ ન્યૂઝ) : રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં આકાશમાં આજે સવારે વિમાનોના એન્જિનની ગર્જના જુદા પ્રકારની હતી. સામાન્ય રીતે આ એરપોર્ટ પર પેસેન્જર વિમાનોની ઘરઘરાટી સંભળાતી હોય છે પરંતુ આજે સવારે ઇન્ડિયન એરફોર્સના ફાઇટર વિમાનો ગગનભેદી ગર્જના કરતા હતા. જોતજોતામાં ચાર ફાઇટર વિમાનોએ એરપોર્ટના રન વે પરથી ઉતરાણ કર્યું હતું. રાજકોટ એરપોર્ટ પર ફાઇટર વિમાનોનાં ઉતરાણથી જાત-જાતના તર્ક-વિતર્ક શરૂ થયા હતા.

રાજકોટથી 100 કિલોમીટર જેટલા અંતરે આવેલાં જામનગરમાં સલામતી દળોની આર્મી, નેવી (જુઓ પાનું 10)

અને એરફોર્સ એમ ત્રણેય વિંગ છે ત્યારે જામનગરના આકાશમાં ફાઇટર વિમાનોનું ઉડ્ડયન નિયમિત બનતી ઘટના છે પરંતુ રાજકોટનાં આકાશમાં ફાઇટર વિમાનો ક્યારેક જ જોવા મળે છે. એવામાં આજે હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારના સમયે એક-બે નહીં ચાર-ચાર જેગુઆર ફાઇટર વિમાને ન માત્ર ઉડ્ડયન કર્યું હતું પરંતુ ઉતરાણ પણ કર્યું હતું.

સૂત્રો જણાવે છે કે આ ફાઇટર વિમાનો યુદ્ધ કે અન્ય ઇમર્જન્સીના સમયમાં રાજકોટ એરપોર્ટ પર ઉડાન-ઉતરાણની પરિસ્થિતિ ચકાસવા આવ્યા હોઈ શકે.

ઇ-પેપરના નવા શુલ્ક