જામનગર,તા.20:
પંચેશ્વર ટાવર પાસે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં
રહેતી 22 વર્ષીય દ્રષ્ટિ જતીનભાઈ પારેખ નામની યુવતીએ બિલ્ડિગના નવમા માળેથી પડતું મૂકીને
પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સીએનો અભ્યાસ કરતી આ યુવતી સવારે નવ વાગ્યે લિફ્ટ
દ્વારા નવમા માળે પહોંચી હતી અને ત્યાંથી છલાંગ લગાવી દીધી હતી. ગંભીર ઈજાઓ અને રક્તસ્ત્રાવને
કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસની
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવતી છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને
ડિપ્રેશનથી પીડાતી હતી. સીસીટીવી ફૂટેજમાં તે એકલી નવમા માળે જતી જોવા મળી છે. પરિવાર
હજુ તાજેતરમાં જ કેદારનાથની યાત્રાએ જવાની તૈયારી કરી રહ્યો હતો, તેવામાં લાડલી દીકરીના
આ આત્યંતિક પગલાથી સોની પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સિટી-એ ડિવિઝન પોલીસે
અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.