પોરબંદર,
તા.24 : પોરબંદર શહેરના એક યુવાન પાસેથી સુકો ગાંજો અને તરખાઈ ગામે મંદિરના મહંત પાસેથી
ગાંજો મળી આવતા પોલીસે 50,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કુતિયાણા પોલીસને એવી
માહિતી મળી હતી કે તરખાઈ ગામથી કડેગી ગામ જતા રસ્તે આવેલા ગાત્રાળ માતાજીનાં મંદિર
ખાતે મહંત તરીકે રહેતા અખિલેશ્વરગીરી ગુરુ કમલગીરી નામનો 56 વર્ષનો આધેડ તેના કબજાવાળા
મકાનમાં સુકો ગાંજો રાખે છે. તેથી પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડયો હતો અને 396
ગ્રામ નસીલો પદાર્થ કે જેની કિંમત રૂપિયા 19,800 થાય છે તે મળી આવ્યો હતો. તે ઉપરાંત
5000નો એક મોબાઇલ સહિત કુલ રૂપિયા 24,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મહંત
અખિલેશ્વરગીરી ગુરુ કમલગીરીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે એવું જણાવ્યું
હતું કે શિવરાત્રીના મેળામાં જૂનાગઢના ભવનાથ ખાતે ગયા હતા, ત્યાં ઘણા સાધુ સંતો પાસે
પીવા માટે ગાંજો હતો. તેમાંથી એક અજાણ્યા સાધુ પાસેથી પીવા માટે આ ગાંજો લીધો હતો.