• સોમવાર, 13 જુલાઈ, 2026

નેપાળમાં જેન-ઝી ફરી રસ્તા પર

ત્રણ દિવસમાં ત્રણ યુવાનના આત્મદાહના પ્રયાસ : બેનાં મોત, બાલેનના રાજીનામાની માંગ બુલંદ

કાઠમંડુ, તા. 12 : નેપાળમાં યુવાનોમાં વધી રહેલા રોષ, નારાજગી ફરી રસ્તા પર દેખાવા લાગ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં  ત્રણ યુવાને પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો છે. જેમાંથી બે યુવાનનાં સારવાર દરમ્યાન મોત થઈ ગયાં હતાં, તો એક યુવકની હાલત ગંભીર છે.

હવે વડાપ્રધાન બાલેન શાહના રાજીનામાની માંગ બુલંદ બની છે. રાજધાની કાઠમંડુમાં યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી પડયા હતા.

વિરોધ પક્ષ નેપાળી કોંગ્રેસે બાલેન શાહ સરકાર પર યુવાનોમાં આશા અને ભરોસો જગાવવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ મૂક્યો હતો.

જેન-ઝી નેપાળ સંગઠને વડાપ્રધાન શાહ પર લોકહિત વિરોધી અને નિરંકુશ રીતે શાસન ચલાવવાનો આરોપ મૂક્યો હતો.

સંગઠનનું કહેવું છે કે, બજેટ અને નીતિઓમાં યુવાનોના રોજગાર અને આવક વધારવા માટેના કોઈ નક્કર પગલાં લેવાયાં નથી.

પ્રેમ આચાર્યએ 2023માં આત્મદાહ કર્યો ત્યારે કાઠમંડુના મેયર રહેલા બાલેન શાહે તેને સરકારની નિષ્ફળતા લેખાવી હતી. હવે વર્તમાન આત્મદાહની ઘટનાઓ પર બાલેનના મૌન સામે વિપક્ષ અને દેખાવકારો સવાલ ઊઠાવી રહ્યા છે.

નેપાળમાં સતત સામે આવી રહેલી આવી ઘટનાઓએ યુવાનોની માનસિક સ્થિતિ, સરકારી નીતિઓ સામે સવાલ ઊભા કર્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક