ફરીથી અમેરિકા-ઈરાનનાં ભીષણ હુમલા ઃ અમેરિકાએ 140 ઠેકાણાને ટાર્ગેટ કર્યા તો ઈરાને જોર્ડન, બેહરીન, કુવૈત, કતાર અને ઓમાનમાં દાગી મિસાઈલો
નવીદિલ્હી,તા.12ઃ અમેરિકા અને ઈરાન ફરી એકવાર આરપારની લડાઈની કગારે આવી ગયા છે. ખતરનાક સ્તરે પહોંચી ગયેલા આ તનાવમાં ઈરાની નૌસેનાએ આગામી સૂચના સુધી ફરીથી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી નાખવાનું એલાન કરી દીધા બાદ અમેરિકાએ ઈરાનમાં આશરે 140 ઠેકાણાને નિશાન બનાવીને હવાઈ હુમલા બોલાવી દીધા હતાં. તો સામે છેડે વિફરેલા ઈરાને પણ જોર્ડન, બેહરીન, કુવૈત, કતાર અને ઓમાનમાં મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી તબાહી મચાવી દીધી હતી.
ઈરાની નૌસેનાએ હોર્મુઝ બંધ કરી નાખવાનું એલાન કર્યાનાં અમુક કલાકોમાં જ અમેરિકાએ ઈરાનનાં સૈન્ય અને વ્યૂહાત્મક માળખાઓ ઉપર હવાઈ હુમલા ચાલુ કરી નાખ્યા હતાં. જેમાં ઈરાનનાં પરમાણુ શહેર બુશહર સહિતનાં શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતાં.
આ નવેસરથી પેદા થયેલા તનાવનું કારણ એક કોમર્શિયલ જહાજ ઉપર ઈરાની સેના આઈઆરજીસીનો હુમલો છે. ઈરાની નૌસેનાએ દાવો કર્યો હતો કે, હુમલાગ્રસ્ત જહાજે નિર્ધારિત સમુદ્રી માર્ગનું પાલન કર્યુ નહોતું અને પોતાની નેવિગેશન સિસ્ટમ પણ બંધ કરી નાખી હતી. ચેતવણી આપવા છતાં તેનાં તરફથી રસ્તો બદલવામાં ન આવ્યો પછી તેનાં ઉપર હુમલો કરવામાં આવ્Îો હતો. જો કે આ હુમલા પછી અમેરિકાએ ઈરાનને પાઠ ભણાવવા માટે હુમલા શરૂ કરી દીધા હતાં. જેનાં જવાબમાં ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકાની દખલગીરી બંધ ન થાય ત્યાં સુધી હોર્મુઝ બંધ કરી નાખવાની ધમકી આપી હતી.
ઈરાન ઉપર આ નવેસરથી શરૂ થયેલા અમેરિકાનાં હુમલા વિશે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો હતો કે, છેલ્લા ત્રણ દિવસમાં ઈરાનનાં 300થી વધુ સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા છે. તો ઈરાની સેનાએ દાવો કર્યો હતો કે, તેના તરફથી કતારમાં અલ ઉદીદ એરબેઝ ઉપર બેલિસ્ટિક મિસાઈલ દાગી દેવામાં આવી છે. આ હુમલામાં લડાકૂ વિમાનનાં સમારકામ સેન્ટર સાથે કમાન્ડ સેન્ટરને પણ નિશાને લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓમાનનાં દુક્મ બંદર ઉપર પણ હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો.