પશ્ચિમી પ્રશાંત સાગરમાં બની રહેલી સિસ્ટમ બંગાળ તરફ ફંટાશે તો નૈઋઍત્યના ચોમાસાને ફરી રફતાર મળશે
નવી દિલ્હી, તા. 12 ઃ ભારતના હવામાનમાં વર્તમાન સમયે મિશ્ર સ્થિતિ બનેલી છે. દેશના મોટાભાગના વિસ્તારમાં, ખાસ કરીને પૂર્વ ભાગ છોડીને તમામ સ્થળે કોરું ધાબડ વાતાવરણ છે. વરસાદની કમીનાં કારણે ખેડૂતો ચિંતત છે. ચોમાસાની રફતાર થંભી ગઈ છે. જોકે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ઘણી સિસ્ટમ બની રહી છે, જે ચોમાસાને મજબૂતી આપી શકે છે.
ઘણા હવામાન મોડલ બતાવી રહ્યા છે કે પ્રશાંત મહાસાગરમાં બનતી અમુક સિસ્ટમ બંગાળની ખાડી સુધી પહોંચશે તો 18થી 25 જુલાઈ વચ્ચે ચોમાસામાં નવા શ્વાસ ફુંકાઈ શકે છે. જો કે હજી 7-8 દિવસ બાકી હોવાના કારણે વૈજ્ઞાનિકો સતર્કતાથી નજર રાખી રહ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય રહી હતી પણ મધ્ય અને ઉત્તર ભારતમાં અડચણ આવી હતી. પૂર્વ ભારતમાં વરસાદ થઈ રહ્યો છે, જ્યારે પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ભારત અછતનો સામનો કરી રહ્યા છે. જેનાથી ખેતીને અસર પડી શકે છે.
આવી સ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાં ઉભી થયેલ સંભાવના આશાનું કિરણ બની છે. પ્રશાંત મહાસગારમાં ટ્રોપિકલ સિસ્ટમ અથવા લો પ્રેશર એરિયા બનવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધીને બંગાળની ખાડીમાં પ્રવેશ કરે તો ચોમાસાને મજબૂત બનાવી શકે છે. ઘણા આંતરરાષ્ટ્રીય અને ભારતીય મોડલ સંભાવનાને બતાવી રહ્યા છે. વધુમાં અન્ય એક સકારાત્મક અહેવાલ ઉત્તર ભારતથી પણ છે. જેમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતમાં દાખલ થઈ રહ્યું છે. આ પ્રણાલી પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના અમુક હિસ્સાને પ્રભાવિત કરશે. જેના પરિણામે આગામી બે ત્રણ દિવસમાં તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.