આસામના 27 લોકોને વિદેશી ઘોષિત કરવાના કેસમાં ગુવાહાટી હાઇકોર્ટનો આદેશ રદ કરતાં કોર્ટે કેસ ફોરેનર્સ ટ્રિબ્યુનલને મોકલ્યો
નવી દિલ્હી, તા. 13 : સુપ્રીમ
કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચે તેવા મહત્ત્વના નિર્દેશમાં જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિની
નાગરિકતા અથવા વિદેશી હોવાનો ફેંસલો નિષ્પક્ષ, કાનૂની અને ઉચિત પ્રક્રિયા દ્વારા જ
થવો જોઇએ. આસામના 27 લોકોને વિદેશી ઘોષિત કરવાના મામલામાં ગુવાહાટી હાઇકોર્ટે આપેલા
ફેંસલાને રદ કરતાં સુપ્રીમે આ નિર્દેશ આપ્યો હતો.
જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની
ખંડપીઠે આ મામલાની સુનાવણી કરતાં કહ્યું હતું કે, નાગરિકતા અને વિદેશી હોવાનો સવાલ
બંધારણ અને કાયદા સાથે જોડાયેલો બેહદ મહત્ત્વપૂર્ણ વિષય છે.
તમામ મામલા ફરીવાર સુનાવણી માટે
ફોરેનર્સ ટ્રિબ્યુનલને મોકલી દેવાયા હતા. આ લોકોને ટ્રિબ્યુનલે જ વિદેશી ઘોષિત કર્યા
હતા. જો કે, સર્વોચ્ચ અદાલતે એ નક્કી કર્યું નહોતું કે, અરજદારો ભારતીય નાગરિક છે કે
નહીં. તમામ 27 અરજદારની નાગરિકતા પર અંતિમ ફેંસલો ટ્રિબ્યુનલ જ કરશે, તેવું અદાલતે
જણાવ્યું હતું.