• મંગળવાર, 14 જુલાઈ, 2026

જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... હિન્દુ-મુસ્લિમને સુપ્રીમ પ્રસ્તાવ નામંજૂર

બન્ને પક્ષે કહ્યું, તમામ મામલાનો ઉકેલ અદાલતમાં કાનૂની આધારે થવો જોઈએ

નવી દિલ્હી, તા. 13 વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ ભૂમિ વિવાદ અને ઉત્તરપ્રદેશના સંભલ જામા મસ્જિદ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત પરસ્પર સહમતીથી વિવાદ ઉકેલવાની પ્રક્રિયામાં સામેલ થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. બંને પક્ષનું કહેવું છે કે, તમામ મામલાઓનો નિકાલ અદાલતમાં કાનૂની આધાર પર થવો જોઈએ. મુદ્દો માત્ર કોઈ એક ચોક્કસ સ્થળ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમુદાયનો છે.

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્રએ તાજેતરમાં ત્રણેય મામલાના તમામ પક્ષકારોને પત્ર મોકલીને સુપ્રીમ કોર્ટ એક્શન ફોર મેડિએટેડ એડજ્યુડિકેશન એન્ડ ડિસ્પ્યુટ્સ હાર્મોનાઇઝેશન અક્રોસ નેશન (સમાધાન સમારોહ-2026) અંતર્ગત પરસ્પર સમજૂતી દ્વારા ઉકેલ શોધવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

પહેલનું સમાપન આગામી 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિશેષ લોકઅદાલતમાં થવાનું છે. જો કે, હિન્દુ પક્ષના અરજદારો અને ત્રણેય મસ્જિદોની વ્યવસ્થાપન સમિતિઓએ સુપ્રીમ કોર્ટ તેમજ સંબંધિત રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો (લીગલ સર્વિસીસ ઓથોરિટી)ને જાણ કરી દીધી છે કે, અમે મધ્યસ્થતા પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા નથી.

કેસો સાથે જોડાયેલા વકીલો અને પક્ષકારોનું કહેવું છે કે, પૂજા સ્થાનો પર માલિકી હક્ક, બંધારણીય અધિકારો અને વ્યાપક જનહિત સાથે જોડાયેલા આવા સંવેદનશીલ મામલાઓનો ચુકાદો અદાલત દ્વારા આવવો જોઈએ, નહીં કે લોકઅદાલત કે મધ્યસ્થતાનાં માધ્યમથી. બીજી તરફ મસ્જિદ પ્રબંધન સમિતિઓના પ્રતિનિધિઓએ પણ કહ્યું કે, અમે વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલના પક્ષધર છે, પરંતુ મામલાને મધ્યસ્થતા માટે મોકલવા નથી ઈચ્છતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને પક્ષનાં વલણ બાદ હવે ઓગસ્ટ મહિનામાં યોજાનારી વિશેષ લોકઅદાલતમાં ચર્ચિત કેસોનો સમાવેશ થાય તેવી શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ‘સમાધાન સમારોહ-2026’ની જાહેરાત ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ લાંબા સમયથી પડતર કેસોનો સ્વૈચ્છિક અને પરસ્પર સહમતીના આધારે ઉકેલ લાવવાનો છે.

આના માટે સુપ્રીમ કોર્ટે એક ઓનલાઈન પોર્ટલ અને કેન્દ્રીય સંકલન તંત્ર પણ સ્થાપિત કર્યું છે. ત્રણેય વિવાદોમાં વ્યાપક કાનૂની અને બંધારણીય પ્રશ્નો સામેલ છે, જેમાં પૂજા સ્થળ અધિનિયમ, 1991ની વ્યાખ્યા અને તેના દાયરાને લગતા મુદ્દાઓ પણ સામેલ છે. હાલમાં મામલે અંતિમ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026