પૂરપાટ ઝડપે આવતી કાર એ 65 વર્ષીય વૃદ્ધાને ઉડાડતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું : ન્યાય માટે દીકરીઓનું આક્રંદ
રાજકોટ, તા.8 : રાજકોટ શહેરમાં લીમડા ચોક નજીક રવિવારની વહેલી સવારે એક બેફામ કારચાલકે 65 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. એ ડિવિઝન પોલીસે કારચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ આદર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મીઠાભાઈ ધંધુકિયા નામના 65 વર્ષીય વૃદ્ધ રવિવારે વહેલી સવારે લીમડા ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મીઠાભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટના બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
રાજકોટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મીઠાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી તેઓનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે અને હોસ્પિટલે દોડી જઈ પોતાની વેદના ઠાલવી હતી. દીકરીઓએ હૈયાફાટ રુદન કરતા જણાવ્યું કે, બેફામ ગાડી ચલાવીને તેમને મારી નાખે એ કેટલું અસહ્ય છે! આવા વાહનચાલકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આ મામલે અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે. તેને ગમે ત્યાંથી પકડી અમારી સામે હાજર કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે તેવી અમારી માગ છે.