• મંગળવાર, 10 જૂન, 2025

આજથી લોકમેળાના સ્ટોલ-પ્લોટના ફોર્મનું વિતરણ રાઇડ્સ વગરના મેળાની પરિસ્થિતિ નહીં સર્જાય

રાઇડ્સના સંચાલકો સાથે બેઠક કરી નિયમો સમજાવવા વહિવટી તંત્ર દ્વારા પ્રયાસો કરાશે

 

રાજકોટ, તા.8 : સૌરાષ્ટ્રના લોકપ્રિય ગણાતા રાજકોટના જન્માષ્ટમી લોકમેળાની તૈયારી તંત્રએ આરંભી દીધી છે. લોકમેળામાં સ્ટોલ રાખવા માગતા ધંધાર્થીઓ માટે આવતીકાલ સોમવારથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. તા.13 જૂન સુધી ફોર્મ જૂની કલેક્ટર કચેરી ખાતે તેમજ શાસ્ત્રી મેદાનની સામે આવેલી ઇન્ડિયન બેન્કમાંથી મળશે. આ ફોર્મની કિંમત રૂ.200 રાખવામાં આવી છે.

લોકમેળામાં આ વખતે પણ યાંત્રિક રાઈડ્સના નિયમોને લઈને ધંધાર્થીઓ અને તંત્ર આમનેસામને છે. ગત વર્ષે ટીઆરપી ગેમઝોન બાદ કડક નિયમો અમલી બનાવ્યા હતા જેને ધ્યાનમાં રાખી રાઈડ્સના ધંધાર્થીઓએ અગાઉની જૂની પદ્ધતિ મુજબ જ યાંત્રિક રાઈડ્સ ઉભી કરવા માગ કરી છે, નહીંતર મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સંચાલકોના જણાવ્યાનુસાર મોટાભાગની રાઇડ્સ એસેમ્બલ હોવાથી કંપનીના બિલ કે ડ્રોઇંગ ઉપલબ્ધ હોતા નથી. આવા કિસ્સામાં રાઇડ્સધારક કે આયોજકની લેખિત બાંયધરી લઈને મંજૂરી આપવાની રાઇડ્સ સંચાલકોએ માગ કરી છે.

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, સરકારી નિયમોમાં કોઈ બાંધછોડ નહીં થાય. સંચાલકો સાથે બેઠક યોજીને વિસ્તૃત ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવશે. એસઓપીનો કડક અમલ કરવો જ પડશે. રાજ્ય સરકાર તરફથી રાઇડ્સના સંચાલકો સાથે બેઠક કરી નિયમો સમજાવવા વહિવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવશે અને રાઇડ્સ વગરના મેળાની પરિસ્થિતિ સર્જાશે

નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક