રાહુલ ગાંધીનાં નિવેદન ઉપર લોકસભામાં હંગામો : ચીનની ઘૂસણખોરી મુદ્દે સ્પીકરે રાહુલને પુરાવા રજૂ કરવા કહ્યું
નવી
દિલ્હી, તા.3: સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષના
નેતા રાહુલ ગાંધીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં અને આમાં તેમણે કેટલીક વાતો
અને દાવા એવા કરી નાખ્યા હતાં, જેનાં હિસાબે ગૃહમાં હોબાળો મચી ગયો હતો અને સત્તા પક્ષે
તેની સામે સખત વાંધો લીધો હતો. હકીકતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન ભવિષ્યની
ટેકનોલોજી પર ઝડપી કામ કરી રહ્યું છે અને ભારત તેમાં ખૂબ પાછળ છે. રાહુલ ગાંધીએ આ ઉપરાંત
સીમાએ ચીનની આક્રમકતા અને ભારતની વિદેશ નીતિ પર સરકારની તિખી આલોચના કરી હતી.
રાહુલ
ગાંધીએ કહ્યું હતું કે, ચીન આજે એઆઇ, બેટરી, ઇલેક્ટ્રિક કાર, અૉપ્ટિક્સ ક્ષેત્રમાં
ઝડપથી વિકસી રહ્યું છે. પરંતુ ભારત તેમાં પાછળ છે. રાષ્ટ્રપતિના અભિભાષણમાં આ મુદ્દે
પણ વાત થવી જોઈતી હતી. આપણાં બેન્કિંગ સેક્ટર ઉપર પણ ફક્ત બેથી ત્રણ મોટી કંપનીઓનો
જ પ્રભાવ ન હોવો જોઈએ. નાના અને મધ્યમ વર્ગની કંપનીઓને પણ બેન્કિંગ સેક્ટર સુધી સરળ
પહોંચ હોવી જોઈએ. જો એવું થયું હોત તો આપણા વિદેશ મંત્રીને ત્રણ-ચાર વખત અમેરિકા જઈને
કહેવું ન પડયું હોત કે અમારા વડાપ્રધાનને પણ આમંત્રિત કરો.(ટ્રમ્પનાં શપથ સમારોહમાં)
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, જો અમે આ ક્ષેત્રોમાં કામ કર્યું હોત તો અમેરિકાએ આપમેળે
આપણાં પ્રધાનમંત્રીને આમંત્રિત કર્યા હોત.
રાહુલ
ગાંધીના આ વિધાન સામે સત્તા પક્ષે ભારે હંગામો કરીને વાંધો લીધો હતો. સંસદીય કાર્યમંત્રી
કિરેન રિજિજુએ તેમની સામે કહ્યું હતું કે, વિપક્ષના નેતા કોઈપણ તથ્ય અને પુરાવા વિના
આ રીતે ગંભીર આક્ષેપો ન લગાવે. આ બે દેશો વચ્ચેના સંબંધોની વાત છે, એવા સમયે આધારહીન
આક્ષેપો ન કરવા જોઈએ.
આ ઉપરાંત
રાહુલ ગાંધીએ સીમા પર ચીનનાં આક્રમક રુખને લઈને પણ સરકારની આલોચના કરી હતી. તેમણે કહ્યું
હતું કે, સીમા પર ચીનની આક્રમકતાને લઈને સેના અધિકારીઓના નિવેદનોમાં વિરોધાભાસ છે.
ચીને આપણી સીમામાં ઘૂસણખોરી કરી હોવા અંગે આપણાં પ્રધાનમંત્રી ઇનકાર કરી રહ્યા છે,
પરંતુ સેનાએ પ્રધાનમંત્રીના નિવેદન સાથે અસહમતી દેખાડી છે.
જેનાં
ઉપર પર ભાજપનાં સદસ્યોએ ભારે હંગામો મચાવી દીધો હતો. સત્તાપક્ષે રાહુલ ઉપર નિરાધાર
દાવા કરવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભા અધ્યક્ષે પણ રાહુલ ગાંધીને તેમના નિવેદન સંબંધિત પુરાવા રજૂ કરવા કહી દીધું
હતું.
રાહુલ
વિદેશમાં ભારતને નુકસાન કરી રહ્યાં છે : જયશંકર
નવી
દિલ્હી, તા.3: લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ
ગાંધીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની અમેરિકા યાત્રા પર કરેલી ટિપ્પણી સામે હવે વિદેશ
મંત્રી એસ.જયશંકરે પણ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, વિપક્ષના નેતા રાહુલ
ગાંધી ડિસેમ્બર 2024માં મારી અમેરિકા યાત્રા વિશે જાણી જોઈને જૂઠું બોલ્યા છે. તેમના જૂઠાણાનો હેતુ રાજકીય હોઈ શકે છે પણ તેઓ વિદેશમાં
દેશને નુકસાન પહોંચાડે છે. આ સાથે જ તેમણે
સ્પષ્ટ કર્યુ હતું કે, અમેરિકી યાત્રામાં કોઈપણ તબક્કે પ્રધાનમંત્રીના આમંત્રણ અંગે
ચર્ચા કરવામાં આવી ન હતી. તે સર્વવિદિત છે કે આપણા પ્રધાનમંત્રી આવા કાર્યક્રમોમાં
ભાગ લેતા નથી. હકીકતમાં, ભારતનું પ્રતિનિધિત્વ સામાન્ય રીતે વિશેષ રાજદૂતો દ્વારા કરવામાં
આવે છે.