ભાજપ-કોંગ્રેસ અને ‘આપ’ને આડે હાથ લેતા શંકરસિંહ વાઘેલા
જૂનાગઢ,
તા.રર: વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની સત્તાવાર જાહેરાત બાકી છે ત્યાં આ બેઠક રાજકીય
ઘમસાણમાં ફેરવાઈ રહી હોય તેમ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાની
પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરતા આ બેઠક ઉપર બહુપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે અને મુખ્ય
રાજકીય પક્ષોમાં સન્નાટો છવાઈ ગયો છે.
વિસાવદર
વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગતા જ આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દેતા
તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસે ગઠબંધનને ફગાવી પક્ષ પોતાના સિમ્બોલ ઉપર ચૂંટણી
લડવાની જાહેરાત કરી છે. ભાજપ પોતાના ઉમેદવાર અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.આ સ્થિતિમાં
ગુજરાતનાં રાજકારણનાં ડૉક્ટર ગણાતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રજાશક્તિ
ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરતા આ બેઠક ઉપર બહુપાંખિયો જંગ જામશે.
વિસાવદર
વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને શંકરસિંહ વાઘેલાએ ગઈકાલથી સોરઠમાં ધામા નાખ્યા છે.
આજે પરબધામની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતાં ત્યાંથી વિસાવદરમાં સરદાર વલ્લભભાઈ
પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં.
બાદમાં
આગેવાનો, કાર્યકરો સાથે બેઠક યોજી હતી તેમાં વિસાવદર બેઠક ઉપર પોતાની પાર્ટીના ઉમેદવાર
તરીકે જાંબુડીના સરપંચ વલ્લભભાઈ કોટડીયાની જાહેરાત કરી હતી તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું
કે, ભાજપ, કોંગ્રેસ અને આપ હારે કે જીતે તેમાં કોઈ ફરક પડવાનો નથી. તેમણે ભાજપને આડે
હાથ લેતા જણાવ્યું કે, લોક ચૂકાદાથી કોંગ્રેસ અને આપના ચૂંટાયેલા સભ્યોને ભગવો પહેરાવ્યો
છે તે જ બતાવે છે કે ભાજપ લોકોને છેતરવાનું કામ કરે છે.
ભાજપને
વિશ્વાસ હોય તો તોડફોડને બદલે મૂલ્ય આધારિત ચૂંટણી લડવી જોઈએ. વિસાવદર-ભેસાણનાં મતદારોએ
કોંગ્રેસ અને ‘આપ’ના ધારાસભ્યોને જોઈ લીધા છે તેના પરિણામે દોઢ વર્ષથી આ વિસ્તાર ધારાસભામાં
પ્રતિનિધિ વિહોણો છે. હવે મતદારો ભાજપને પરાજીત કરી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના
ઉમેદવારને જીતાડે તેવી અપીલ કરી હતી.
ભાજપ
સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ કેટલું પકડાઈ છે અને યુવાનોની
જીંદગી બરબાદ થઈ રહી છે. આ માટે સરકારે ખાસ આયોજન કરવું જોઈએ. આજે મોંઘવારી, ખેડૂતોનાં
દેવા માફી, બેકારી અને રોજગારી સહિતના મુદ્દે સરકાર વિકાસના ગાણા ગાઈને પ્રજાજનોને
મુર્ખ બનાવી રહી છે પણ હવે લોકો જાગૃત બન્યા છે. બધુ સમજે છે પણ તેમનું સાંભળનાર કોઈ
નથી તેથી મૌન સેવી રહ્યા છે. આમ આ બેઠકની ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજકીય ગરમાવો આવ્યો
છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીમાં પણ ફેરવિચારણા કરવી પડે તેવી
સ્થિતિ નિર્માણ પામી છે.