નિર્દોષોના
નરસંહારને ભારત સરકાર સામેનો સંઘર્ષ ગણાવ્યો
ઈસ્લામાબાદ,
તા.ર3 : કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓનો આતંકીઓએ નરસંહાર કર્યા બાદ પાકિસ્તાને
નફ્ફટાઈની હદ વટાવતાં આ આતંકી હુમલાને ઘરેલું ક્રાંતિ ગણાવી તેના માટે ભારતને જ જવાબદાર
ઠેરવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ખાસ અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે
બફાટ કરતાં કહયુ કે પાકિસ્તાનને કંઈ લેવાદેવા નથી. તેમના ઘરમાં જ શરૂઆત થઈ છે. ભારત
વિરુદ્ધ કથિત રાજ્યોમાં ક્રાંતિ ચાલી રહી છે. એકબે નહીં ડઝનો ચાલે છે. નાગાલેન્ડ, કાશમીર,
છત્તીસગઢ, મણિપુરમાં આવું થઈ રહ્યું છે. આ તમામ જગ્યાએ ભારત સરકાર વિરુદ્ધ ક્રાંતિ
ચાલી રહી છે. આસિફે જૂઠાણું ચલાવ્યું કે અમે આતંકવાદને પ્રોત્સાહન આપતાં નથી. છતાં
ઘરેલુ સંઘર્ષમાં માસૂમ લોકોને નિશાન બનાવવા ન જોઈએ. આ બધુ ઘરમાં જ શરૂ થયું છે. લોકો
પોતાનો હક માગી રહ્યા છે. હિન્દુત્વ બળ લોકોનું ઉત્પીડન કરી રહ્યા છે. લઘુમતિઓને દબાવી
રહ્યા છે, ખ્રિસ્તીઓ તથા બૌદ્ધોને પરેશાન કરાય છે. તેમને મારવામાં આવી રહયા છે. તેના
વિરુદ્ધ આ આંદોલન છે. એટલે આવી ગતિવિધિઓ થાય છે.
બેશરમ
શરીફનો વિદેશમાં કાશ્મીર રાગ
આર્મી
ચીફના હિન્દુ વિરોધી નિવેદન બાદ પહેલગામમાં હુમલો
નવી
દિલ્હી, તા.ર3 : કાશ્મીરના પહેલગામમાં જયારે આતંકવાદી હુમલો થયો તે સમયે પાકિસ્તાનના
વડાપ્રધાન શાહબાઝ શરીફ કાશ્મીર રાગ આલાપી રહ્યાનું સામે આવ્યું છે. બીજીતરફ આ આતંકી
હુમલા પહેલા પાક.આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે હિન્દુઓ વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતુ.
પહેલગામમાં મંગળવારે જ્યારે હુમલો થયો ત્યારે પીએમ શરીફ તુર્કીના પ્રવાસે હતા અને ત્યાંના
રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોગન સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. અંકારા ખાતે
આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં શરીફે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનો કાશ્મીર મુદે સમર્થન
આપવા બદલ આભાર માન્યો હતો. તાજેતરમાં આર્મી ચીફ મુનીરે કાશ્મીરને ઈસ્લામાબાદની ગળાની
નશ ગણાવી ભાગલાંનો ઉલ્લેખ કરતાં હિન્દુઓને મુસ્લિમોથી અલગ ગણાવી ઉશ્કેરણી કરી હતી.
કહેવાય છે કે આર્મી ચીફની આવી વાતથી આતંકવાદીઓને હિન્દુઓ વિરુદ્ધ હિંસાની પ્રેરણા મળી.