તોફાની પવનના કારણે વીજપોલ અને વૃક્ષ ધરાશાયી, માળિયા હાટીનામાં ગૌશાળાની દીવાલ ધરાશાયી
રાજકોટ
તા.9: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા પાંચેક દિવસથી સૌરાષ્ટ્રમાં માવઠારુપી આફત
આભમાંથી વરસી રહી છે. એક બાજુ કેરી, તલ, મગ સહિતનો ખેતીનો પાક ખેતરમાં તૈયાર ઉભો છે
ત્યારે સતત વરસતા કમોસમી વરસાદના કારણે જગતાતને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. આજે
પણ માળિયા હાટીના અને બાંટવામાં જાણે ચોમાસું હોય એમ તોફાની પવન અને ગાજવીજ સાથે 3
ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર નદી વહેવા લાગી હતી. તેમજ ઘણા વિસ્તારમાં આજે માવઠું વરસ્યું
હતું. ઝાપટાથી લઇને 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે ઘણી જગ્યાએ વીજપોલ
ધરાશાયી થવાના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
હવામાન
વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની
આગાહી છે. ત્યારે આવતીકાલે 10 મેના રોજ રાજ્યભરના અમુક સ્થળોએ અને 11 મેના રોજ રાજ્યના
છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે
12 મેના રોજ 25 જિલ્લામાં માવઠું થશે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર,
રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ સહિત સાબરકાંઠા, અરવલ્લી,
મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી,
નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની
આગાહી છે. 13 મેના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ,
નવસારી, વલસાડ જિલ્લામાં કડાકા સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
ધારી:
આજે મોણવેલ, દલખાણીયા, હાલરીયા, સરસીયા, સુખપુર સહતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો
હતો. જેના કારણે કેરી સહિતના પાકને નુકશાન થયું હતું. દલખાણિયામાં દોઢ ઇંચ જેટલો વરસાદ
નોંધાયો છે.
ઉમરાળા:
આજે પાંચમા દિવસે પણ બપોર બાદ 16 મીમી કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં
52 મીમી વરસાદ નોંધાયો છે.
બગસરા:
સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકશાન થઇ રહયું છે. આજે વરસાદના કારણે શાકમાર્કેટમાં
પાણી ભરાયા હતા. માત્ર થોડા વરસાદમાં પાણી ભરાતા પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર થઇ
હોવાનું જોવા મળ્યું હતું. આજે 19 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
માળિયા
હાટીના: આજે ચાર વાગ્યે પવન સાથે વરસાદ પડ્યો હતો. નીચાણ વાળા વિસ્તારો પાણી પાણી થઈ
ગયા હતા. જોરદાર પવનના કારણે પીજીવીસીએલએ શોર્ટ સર્કિટનો થાય એ માટે વીજળી પુરવઠો બંધ
કરવાની ફરજ પડી હતી. વિરડી ગૌશાળા પાંજરાપોળમાં વરસાદના કારણે બે લાખનો ઘાસચારો પલળી
ગયો છે અને પાંજરાપોળને દિવાલ પણ ધરાશાયી થઇ હતી. પોણી કલાકમાં અંદાજે ત્રણ ઇંચ વરસાદ
પડ્યો હોવાનું જાણવા મળે છે.
જુનાગઢ:
આજે બપોર પછી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો, સાંજ સુધીમાં અડધાથી
ત્રણેક ઇંચ કમોસમી વરસાદ ખાબકી જતા ખેતરોમાં અને રોડ-રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.
કમોસમી વરસાદથી કેરી સહિતના ઉનાળુ પાકને ભારે નુકશાન થયું છે. જૂનાગઢ શહેરમાં આજે બપોરે 4.30 કલાકથી આકાશમાં કાળાડિબાંગ
વાદળો ઘસી આવ્યા અને અચાનક જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો, શરુઆતમાં વરસાદની તિવ્રતા
વધુ હતી, બાદમાં છુટા છવાયા ઝાપટા વરસ્યા હતા. તો ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં કમોસમી
વરસાદથી વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. બાંટવાથી
સરાડીયા વચ્ચે ત્રણેક ઇંચ વરસાદ ખાબકી જતા અહી ખેતરોમાં પાણી ભરાયા હતા, તો હાઈવે રોડ
ઉપર પાણી ફરી વળ્યા હતા, તો વંથલી, ભેંસાણ, વિસાવદર, માળિયા, મેંદરડા, કેશોદમાં અડધો
ઇંચ વરસાદ વરસ્યો હતો.
બાંટવા:
બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા પશુ માટેનો ચારો પણ પલળી ગયો છે. માલધારી અને
ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે.
કોડિનાર:
શિંગોડા સિંચાઈ યોજનામાં દરવાજા બદલાવવાની કામગિરી ચાલુ છે અને ઉપરવાસમાં વરસાદના કારણે
પાણીની આવક હોવાથી ડેમ માંથી 113 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થાય છે. જેથી નીચાણવાળા વિસ્તારોનાં ગામડાઓમાં જરૂરી સૂચના
અપાવામાં આવી હતી.
ધોરાજી
: આજે સતત ત્રીજા દિવસે મેઘ સવારી ચાલુ રહી હતી. સવારના ભારે બફારા બાદ સાંજે 5 વાગ્યે
ધીમીધારે વરસાદ શરૂ થતા અડધો કલાકમાં અડધો ઇંચ વરસી ગયો હતો.
ધોરાજી
પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અચાનક જ એન્ટ્રી શરૂ રાખી છે ત્યારે આજે સાંજે
5:00 વાગે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં ધીમીધારે સતત વરસાદ ચાલુ રહ્યો હતો અને અડધો
ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો.
કોટડાસાંગાણી:
ગુરુવાર રાત્રે 20 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે ગ્રામ્ય પંથકમાં રામોદ નાના પીજીવીસીએલના તાર ઉપર વીજળી પડતા વીજળી
પુરવઠો ખોરવાયો હતો.ત્રણ દિવસમાં 45 વીજપોલ ધરાશાયી થયા હતા. તેમજ ભાડવા ગામે એક કલાકમાં
ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂર પુર જોવા
મળી રહ્યું હતું. કોટડાસાંગાણીથી રીબડા રોડ પર સરકારી ગોડાઉના પતરા ઉડી ગયા હતા. તેમજ
ગોંડલી ડેમમમાં 2 ફૂટ નવા નીરની આવક થઇ છે.
પોરબંદર:
બપોર બાદ કુતિયાણા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં
17 મીમી વરસાદ વરસ્યો હતો. આજુબાજુના વિસ્તારમાં હળવા ભારે ઝાપટા પડયા હતા.
સાવરકુંડલા:
સતત ત્રીજા દિવસે અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઉભા પાકને નુકશાન થવાની
ભીતિ સેવાઇ રહી છે.
ભાવનગર:
ગોહિલવાડ પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ આજે વરસ્યો હતો. ભાવનગર શહેરમાં
સાંજે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જિલ્લામાં પાલીતાણા અને ગારીયાધારમાં એક
ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
મોડાસા:
અરવલ્લી જિલ્લામાં બપોરના સમયે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો. શામળાજીમાં વરસાદ
વરસતા રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.