• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

પાક. હુમલામાં 3 અફઘાન ક્રિકેટર સહિત 17નાં મૃત્યુ

સીઝફાયરનો ભંગ કરી બોમ્બમારો, 16ને ઈજા : બદલાનો તાલિબાનનો હુંકાર : પાક. સાથે ઝ-20 શ્રેણી રમવા અફઘાનિસ્તાનનો ઈનકાર

કાબુલ/ઈસ્લામાબાદ તા.18 : દોહામાં શાંતિ મંત્રણા ચાલુ રાખીને અફઘાનિસ્તાન પર ડુરુન્ડ લાઈન નજીક પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં 3 ક્રિકેટર (કલબ) સહિત 17નાં મૃત્યુ થતાં બંન્ને દેશ વચ્ચે વ્યાપ્ત તણાવ વકર્યો છે. સીઝ ફાયર વચ્ચે પાકિસ્તાને દગાથી કરેલા હવાઈ હુમલા બાદ તાલિબાને બદલાનો હુંકાર ભર્યો છે. એસીબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું કે ખેલાડીઓ કબીર, સિબઘાતુલ્લાહ અને હારુન પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાંથી પાછા ફરી રહ્યા હતા. હુમલાના દિવસે કબીરને તેના ગામમાં એક ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

અફઘાની મીડિયા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર પક્તિકા પ્રાંતમાં કરેલા હવાઈ હુમલામાં 17 લોકો માર્યા ગયા છે અને 16 અન્ય ઘાયલ થયા છે.  આ હુમલો કરીને પાકિસ્તાને 48 કલાકના યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાને પક્તિકા પ્રાંતમાં ત્રણ સ્થળે બોમ્બમારો કર્યો હતો જેનો અફઘાનિસ્તાન જવાબ આપશે. પ્રાંતીય હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવેમ્બરમાં પાકિસ્તાન સાથેની ત્રિકોણીય ટી-ર0 શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાને બચાવ કર્યો છે કે હવાઈ હુમલામાં અફઘાન સરહદની અંદર હાફિઝ ગુલ બહાદુર જૂથને નિશાન બનાવવામાં આવ્યું હતું જે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે જોડાયેલું છે. આ જૂથ ઉત્તર વઝીરિસ્તાનમાં એક લશ્કરી છાવણી પર આત્મઘાતી હુમલો અને ગોળીબારમાં સામેલ હતું, જેમાં 7 પાકિસ્તાની  સૈનિકો માર્યા ગયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક