• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ન્યાયાધીશો સંવેદનશીલ હોવા જરૂરી ઃ સુપ્રીમ

 

-બળાત્કારનાં પ્રવાસ વિશે અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદિત ટિપ્પણીવાળો ચુકાદો સર્વોચ્ચ અદાલતે પલટÎ

નવી દિલ્હી, તા.18ઃ પાયજામાની નાડી ખોલવી કે સ્તન દબાવવાને બળાત્કારનો પ્રયાસ માની શકાય નહીં તેવા અલ્હાબાદ હાઈકોર્ટનાં વિવાદિત ફેંસલાને પલટી નાખતા સુપ્રીમ કોર્ટે જજોની સંવેદનશીલતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતાં અને કહ્યું હતું કે, આવી બાબતોમાં ન્યાયધીશોએ સંવેદનશીલ હોવું જરૂરી છે.

જાતીય અપરાધોમાં માત્ર માત્ર કાનૂની વ્યાખ્યાઓ પર આધારિત નિર્ણય થઈ શકતા નથી. માનવીય સંવેદના પણ દાખવવી જોઈએ. દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની પીઠે કહ્યું હતું કે, યૌન ઉત્પીડનના કેસોમાં ફક્ત કાયદા નહીં બલ્કે સંવેદનશીલ અભિગમ સાથે વિચાર થવો જોઈએ.

સુપ્રીમની બેન્ચે આગળ નોંધ્યું હતું કે, અમે હાઇકોર્ટના એવા નિષ્કર્ષ સાથે સહમત નથી જેમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપ માત્ર તૈયારીનાં હતાં અને બળાત્કારનો પ્રયાસો નહોતો. કોઈપણ કેસમાં માનવતા અને સામાન્ય સમજણનો પરિચય આપીને ફેંસલા થવા જોઈએ. આવું કરીને જ યોગ્ય નિર્ણય સુધી પહોંચી શકાય છે. અદાલતે ન્યાયપ્રણાલીમાં સંવેદનશીલતા વધારવા માટે સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, જજ સંવેદનશીલ હોવાની જરૂરીયાત બાબતે કોઈ જ સંશય નથી.

ગયા વર્ષે માર્ચમાં અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં ફેંસલો કરતાં વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. આ કેસમાં પવન અને આકાશ નામના બે આરોપીઓ પર 11 વર્ષની સગીરાનાં સ્તન દબાવવા અને તેના પાયજામાની નાડી તોડી હોવાનો આરોપ હતો. આ ઘટના જ્યારે બની ત્યારે કેટલાક લોકાને આવતા જોઈને બન્ને આરોપી ભાગી ગયા હતા. આ મામલે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. હાઇકોર્ટના જજ જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આરોપીઓની હરકતોથી તેમનો ઈરાદો બળાત્કારનો હોવાનું સાબિત થતું નથી. આ ટિપ્પણીને લઈને ભારે વિવાદ થયો હતો. સુપ્રીમ કોર્ટે પણ આવી ટિપ્પણી સામે વાંધો વ્યક્ત કરેલો.

ઇ-પેપરના નવા શુલ્ક