દિગ્ગજ એઆઈ કંપની એંથ્રોપિકને ભય : રોક મૂકવા કરી અપીલ : દુનિયામાં ખળભળાટ
નવી
દિલ્હી, તા.6: આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનાં ફાયદા કરતાં તેનાં ખતરા અને ભયસ્થાનોની ચર્ચા
વધુ ગંભીર અને ચિંતાનો વિષય બનેલા છે. આ સંજોગોમાં એઆઈની દિગ્ગજ કંપની એંથ્રોપિક દ્વારા
ચોંકાવનારી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, એઆઈ માસણનાં કાબૂની બહાર જઈ શકે છે અને
તેણે આટલેથી નહીં અટકતા એઆઈ સિસ્ટમનાં વિકાસને રોકવાની અપીલ પણ કરવામાં આવી છે. જેને
પગલે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે કારણ કે એઆઈનાં અત્યાધુનિક મોડેલ વિકસાવવામાં એંથ્રોપિક
અન્ય કંપનીઓથી ખુબ જ આગળ હોવાનું માનવામાં આવે છે.
એંથ્રોપિકનું
કહેવું છે કે, નવા એઆઈ મોડેલ એવા સંકેતો આપી રહ્યાં છે કે, તે માણસનાં કાબૂની બહાર
જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સન ફ્રાંસિસ્કો સ્થિત એંથ્રોપિક પોતાનાં જબરદસ્ત એઆઈ ક્લોડનાં
કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે. એંથ્રોપિકે સૌથી શક્તિશાળી એઆઈ સિસ્ટમ વિકસાવવા ઉપર
તાત્કાલિક અસરથી રોક મૂકવાની માગણી કરવામાં આવી છે.
કંપનીનું
કહેવું છે કે, એઆઈની રફ્તાર એટલી તેજ છે કે, સમાજ વ્યવસ્થા અને સુરક્ષા તેની સાથે તાલમેલ
બેસાડી શકતા નથી. એંથ્રોપિકની આ માગથી દુનિયાનાં ઉદ્યોગજગત અને સરકારો તરફથી વિભિન્ન
પ્રતિક્રિયાઓ આવી રહી છે.
એંથ્રોપિકને
પોતાનાં આંતરિક ડેટાથી જાણવા મળ્યું છે કે, હવે એઆઈ પોતાને વિકસિત કરવાની ઝડપ વધારવા
માંડયું છે. જેનાથી એક લૂપ બની રહ્યો છે અને એઆઈ પોતાની જાતને વધુ સમજદાર બનાવવાની
દિશામાં આગળ વધવા માંડયું છે. જો એઆઈ આપમેળે પોતાને બહેતર બનાવવાનું શીખી જાય તો પછી
દુનિયા અને માણસજાત માટે મોટો ખતરો બની શકે છે. ભલે આ સ્થિતિ હજી દૂર છે પણ એઆઈની પ્રગતિ
માણસની ભૂમિકાને સતત સીમિત કરવા માંડી છે. જે ખતરનાક ભવિષ્યનો સંકેત કરે છે. એંથ્રોપિકનું કહેવું છે કે, વૈશ્વિકસ્તરે એઆઈનાં
વિકાસને રોકવું કઠિન છે. કંપની આની તુલના પરમાણુ શત્ર સાથે કરે છે. પરમાણુ હથિયારોને
રોકવા માટે દુનિયાભરમાં સંધિઓ થઈ છે પણ એઆઈને રોકવાનું તેનાંથી પણ વધુ કપરા ચઢાણ સાબિત
થવાનું છે. જો કે એંથ્રોપિકની આ માગણીનો વિરોધ પણ થઈ રહ્યો છે. ટેક દિગ્ગજ કંપનીઓ કહે
છે કે, આવું કરવાથી ચીનને ટેકનોલોજીની રેસમાં સરસાઈ આપી દેવા સમાન બની જશે.