• બુધવાર, 21 મે, 2025

દેશ સ્તબ્ધ, ત્વરિત પ્રતિપ્રહારની અપેક્ષા

કાશ્મીરમાં થયેલા ઝનૂની, અમાનુષી આતંકી હુમલાથી દેશ સ્તબ્ધ છે. એકસાથે 27 જેટલા લોકોની નિર્મમ હત્યા આતંકવાદીઓએ કરી છે. સમગ્ર દેશમાં દુ:ખની સાથે રોષ છે અને લાગણી એવી છે કે સરકાર ત્વરિત પ્રતિપ્રહાર કરે. આતંકીઓએ આ હુમલો જેમના ઉપર કર્યો તેમના ધર્મની તપાસ પહેલાં કરી અને પછી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલીક કાશ્મીર જવા રવાના થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અરબના પોતાના પ્રવાસ દરમિયાન ભારત સરકાર સાથે વાત કરી જરૂરી તમામ પગલાં લેવા કહ્યું છે. આખા દેશમાં સ્વાભાવિક રીતે ઘેરા પડઘા છે.

‘કાશ્મીરમાં સ્થિતિ બહુ સારી છે’, ‘પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. હવે શાંતિ બહાલ થઈ ગઈ.’ એવા સતત દાવા વચ્ચે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ પોતાની હરકત છોડતા નથી. ‘હુમલા તો પહેલાં પણ થતા’ તેવી દલીલ તરત થાય પરંતુ અપેક્ષા એ જ હતી કે આવો હુમલો કરનારા હવે ડરશે, ગભરાશે પરંતુ એવું થયું નથી. છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર એ પણ છે કે જે હુમલા કાશ્મીર ક્ષેત્રમાં- ઘાટીમાં થતા તે હવે જમ્મુમાં પણ થઈ રહ્યા છે. બીજી અગત્યની વાત એ છે કે જેના ઉપર કાશ્મીરનું અર્થતંત્ર નિર્ભર છે તે પ્રવાસીઓ આજના હુમલામાં ભોગ બન્યા છે. કેટલાક સ્થાનિક લોકો પણ છે.

2019માં બંધારણમાંથી કલમ 370 રદબાતલ થઈ ત્યાર બાદ કાશ્મીરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, ધરતી ઉપરનું સ્વર્ગ ગણાતું આ રાજ્ય ફરી એકવાર પ્રવાસીઓથી ઊભરાઈ રહ્યું છે તેવા સતત પ્રચારને લીધે આશાનો સંચાર થયો હતો. જો કે પાકિસ્તાને તેની દુપ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. પહેલગામના બૈસરંગ વિસ્તારમાં આતંકીઓએ કરેલા હુમલામાં એકસાથે 27 માણસોના આવી રીતે થયેલાં અપમૃત્યુની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જ પડે. હુમલા પછી તરત જ એવા સંદેશા વહેતા થયા કે લોકોને મારતાં પહેલાં આતંકીઓએ તેમનો ધર્મ પૂછ્યો. આ પણ નિંદનીય છે પરંતુ તેને લીધે હુમલાની ગંભીરતા કે સુરક્ષા વ્યવસ્થા સામેના સવાલો ઓછા થતા નથી.

સાઉદી અરબના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંથી સ્થિતિ ઉપર નજર રાખવાનું શરૂ કર્યું, ગૃહમંત્રી સાથે  વાત કરી, ગૃહમંત્રી અમિત શાહે પણ બેઠકોનો દોર શરૂ કર્યો અને મોડી સાંજે તેઓ કાશ્મીર પહોંચી પણ ગયા, એનઆઈએને તપાસ સોંપી એ બધું તેના સ્થાને સાચું છે. સરકાર દર વખતની જેમ આ વખતે પણ હુમલાની ‘કડી નિંદા’ કરી રહી છે પરંતુ ત્યાં અટકી નહીં શકાય.  શક્ય તેટલો વહેલો પ્રતિપ્રહાર થાય તે જરૂરી છે. સેનાએ આતંકવાદીઓને શોધવા માટે સઘન કાર્યવાહી શરૂ કર્યાના પણ અહેવાલ છે પરંતુ તે બધાની સરખામણીમાં પ્રજાનો રોષ વધારે છે. કાશ્મીર રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહેવું જ જોઈએ. રાજ્યમાં આવતા પ્રવાસીઓ અને વસતા નાગરિકોના જીવના રક્ષણની જવાબદારી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની પણ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક