વિશ્વનો કોઈ દેશ ઍરલાઇન્સના ધબડકાથી સુરક્ષિત નથી. એક તો ટૂંકા માર્જિનનું બિઝનેસ મૉડેલ, ખર્ચાળ કામગીરી અને વધુમાં તાતિંગ જાળવણી ખર્ચ તથા તબલાંતોડ કરવેરાને કારણે આ ઉદ્યોગમાં ટકી રહેવું તંગ દોર પર ચાલવા જેવું છે. ઇન્ડિગો ઍરલાઇન્સની કામગીરીમાં સર્જાયેલા વિક્ષેપને પગલે ઊભી થયેલી કટોકટી અને હાલાકી જોતાં ઉડ્ડયન મંત્રાલયે બે પ્રસ્તાવિત ઍરલાઇન્સને એનઓસી આપી છે. ભારતીય આકાશમાં ઉડાણ ભરવા તત્પર એવન હિન્દ ઍરલાઇન્સ અને ફ્લાય એક્પ્રેસને સરકારે નાહરકત પ્રમાણપત્ર આપ્યાં છે. શંખ ઍરને તો આ પહેલાં જ એનઓસી અપાઈ હતી. જોકે, નિષ્ણાતોના મતે નવી ઍરલાઇન્સને મંજૂરી આપવા માત્રથી આ સમસ્યા ઉકેલાશે નહીં, કેમ કે ભારતમાં આ ક્ષેત્રમાં માળખું જ એવું છે કે અન્ય તમામ ભાગધારકોને ગોળ અને ઍરલાઇન્સના ભાગે ખોળ આવે છે. કેટલાક અપવાદ બાદ કરતાં છેલ્લાં પચીસેક વર્ષમાં બંધ પડેલી નવ ભારતીય ઍરલાઇન્સના કિસ્સામાં આ માળખાકીય ખામીએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા થોડા વખતમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે દેશમાં માત્ર ત્રણ જ મુખ્ય ઍરલાઇન્સ અસ્તિત્વમાં છે અને એમાંય એકલી ઇન્ડિગો બજારના 60 ટકાથી વધુ હિસ્સા પર વર્ચસ્ ધરાવે છે. આના કારણે લગભગ એકહથ્થુ ઇજારાશાહી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જે પ્રવાસીઓ માટે હાલાકી અને આ ઉદ્યોગ માટે ગ્રહણ સાબિત થઈ છે.
ભારતમાં
વારંવાર એવું જોવા મળ્યું છે કે ઍરલાઇન્સ વિકસે તેમ નિયમનકારી બંધનો અને માર્ગદર્શિકાઓમાંથી
છૂટ મેળવવા તેઓ પોતાના કદ અને પહોંચનો દુરુપયોગ કરતી હોય છે. ઇન્ડિગોના કિસ્સામાં પણ
આવું જ થયું છે. પાઇલોટ્સની ડ્યૂટીના કલાકો અંગેના નિયમોને પોતાની તરફેણમાં કરાવવા
ઇન્ડિગોના સંચાલકોએ કરેલી રમતને કારણે હાલની અંધાધૂંધી સર્જાઈ છે. જોકે, કેટલાક કિસ્સામાં
(જેટ, સહારા અને કિંગફિશર) માલિકોના ગોરખધંધા અને ખોટી ગણતરીઓએ ઍરલાઇન્સને ડૂબાડી હતી.
વળી, એવિયેશન ફ્યુઅલના ભાવ વિનિમય દર સાથે સીધા જોડાયેલા હોવાથી એ જોખમ પણ મોટું ગણાય.
આમ છતાં, આ ઉદ્યોગમાં સ્પર્ધા હોવી એની અસર એકથી વધુ વાર ઊંધી થઈ હોવાનું પણ જોવા મળ્યું
છે. આવામાં, વધુ ઍરલાઇન્સને છૂટ આપવાથી બધું સમુંસૂતરું થઈ જશે, એવી આશા રાખવી વધારે
પડતી છે. વિમાનપ્રવાસ પહેલાંની જેમ લક્ઝરી રહ્યો નથી. વળી, આ પ્રવાસ સામાન્ય માણસના
ગજામાં રહે એ માટેના પ્રયાસો સરકાર કરી રહી હોય ત્યારે ખર્ચ અને કરવેરા આ બે બાબતો
પર ધ્યાન આપવાની તાતી જરૂર છે. 2022માં ઍર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ હવે આ ઍરલાઇન્સ તાતા
જૂથ હેઠળ છે અને સરકારી માલિકીની એકમાત્ર અલાયન્સ ઍરલાઇન્સ નાનાં શહેરોને એકમેક સાથે
જોડે છે. સરકારની ઉડાન યોજના હેઠળ નાની ઍરલાઇન્સને પ્રોત્સાહન આપવાની નીતિ છે અને તે
કારગત નીવડી છે. આશા રાખીએ કે નાગરી ઉડ્ડયન ક્ષેત્રમાં નાગરિકોની હાલાકી ઓછી થાય.