• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

રાજકોટ ભાવનગર સહિતનાં શહેરોના વેપારીઓ સાથે 19 કરોડની ઠગાઈ

સડક પીપળિયા ગામે પેઢી ખોલી વેપારીઓને શીશામાં ઉતાર્યા : રાજકોટના વેપારીઓને પણ છેતર્યા

ગોંડલ, તા.9 : ગોંડલ નજીક આવેલા સડક પીપળિયા ગામે ભાડેથી ઓફિસ અને ગોડાઉન લઈ પ્રમુખ ટ્રેડિંગ નામની પેઢીથી સ્ટિલ અને સિમેન્ટનો વેપાર શરૂ કરી શાપર-વેરાવળના લોખંડના વેપારી સહિત જુદા જુદા 8 વેપારી સાથે સંબંધો કેળવ્યા બાદ ઉધારીમાં લોખંડના સળિયા ખરીદી 8 વેપારી સાથે 18.84 કરોડની છેતરપિંડી કરી ગઠિયો ફ્લેટ, ઓફિસ અને ગોડાઉન ખાલી કરી ભૂગર્ભમાં ઉતરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર રિલાયન્સ મોલ પાછળ સિલ્વર સ્ટોન શેરી નં.3માં રહેતા અને શાપર-વેરાવળમાં શ્રીનાથજી સ્ટિલ નામની પેઢી ધરાવતા અમિતભાઈ રમેશભાઈ પટેલ (ઉં.વ.47) નામના વણિક વેપારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનાં પીઠડિયા ગામના વતની અને ગોંડલનાં સડક પીપળિયા ગામે પેઢી ધરાવતા જયરાજ ધનજીભાઈ પીપળિયાનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જયરાજ પીપળિયાએ 2022માં ગોંડલના સડક પીપળિયા ગામે પ્રમુખ ટ્રેડિંગ નામની પેઢી શરૂ કરી હતી અને ઓફિસ ગોડાઉન ભાડે રાખી લોખંડના સળિયાનો વેપાર શરૂ કર્યો હતો. ફરિયાદી સાથે ધંધાકીય વાતચીત કરી ઓફિસે મળવા આવ્યો હતો અને 15 દિવસમાં પેમેન્ટ ચૂકવી આપશે તેવી ખાતરી આપી શરૂઆતમાં લોખંડના સળિયાની ખરીદી કરી સમયસર પેમેન્ટ આપી દીધું હતું.

ત્યારબાદ તા.15-6-24થી તા.2-7-24 દરમિયાન આરોપી જયરાજ પીપળિયાએ ફરિયાદી પાસેથી દરરોજ લોખંડના સળિયા મગાવી કુલ 1,45,20,430નું પેમેન્ટ નહીં ચૂકવી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોપીનો ફોન સ્વીચઓફ આવતા ફરિયાદી તેની ગોંડલમાં સડક પીપળિયા ગામે આવેલી ઓફિસ અને ગોડાઉને તપાસ કરવા ગયા તો ગોડાઉન અને ઓફિસના માલિક દિવ્યેશભાઈ વીરડાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ રાજકોટ ધંધો કરવા જવાનું કહી ગોડાઉન અને ઓફિસ ખાલી કરી આરોપી ગઠિયો જતો રહ્યો છે. બાદમાં આરોપીના ફ્લેટે તપાસ કરતા ફ્લેટ પણ ખાલી કરી દીધો હતો.

ફરિયાદી ઉધારીમાં માલ લઈ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ગઠિયાની તપાસ કરતા હતા ત્યારે અન્ય વેપારીઓ પણ આ ગઠિયાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં અમદાવાદના વિશાલભાઈ રાજેશભાઈ પરીખની શ્રીનાથજી ટ્રેડ કોર્પ. પ્રા.લી.માંથી રૂપિયા 2,42,86,814, ભાવનગરના સમીર સતીષભાઈ અડવાણીની ઓમકાર એન્ટરપ્રાઇઝમાંથી 2,94,00,000, રાજકોટના ચેતનભાઈ ભરતભાઈ પોપટની બાલાજી ઇસ્પાર્કમાંથી 5,30,430, અંજારના વેપારી હિતેશભાઈ ચીમનભાઈ શાહની મોના સ્ટીલમાંથી 5,43,12,984 તેમજ અંજારના અન્ય વેપારી ગૌરાંગભાઈ ભૂપતભાઈ શાહની જય ભારત સ્ટીલમાંથી રૂપિયા 3,12,98,514, ભાવનગરના વેપારી સાંતનુસિંહ ગોહિલની એમજી. સ્ટીલની પેઢીમાંથી 2,07,98,218 અને ચેતનભાઈ ભરતભાઈ પોપટ પાસેથી 37,40,000ના લોખંડના સળિયા સહિતની જુદી જુદી ચીજવસ્તુઓ મગાવી છેતરપિંડી કર્યાનું જાણવા મળ્યું હતું.

ગઠિયાની તેના વતન પીઠળિયા ગામે તપાસ કરતા તેના માતા-િપતાએ અમારો દીકરો અમારા કહ્યામાં નથી અને અહીં આવતો નથી તેવો જવાબ મળ્યો હતો. જેનાં પગલે વેપારીઓ છેતરાયાની જાણ થતા ગોંડલ તાલુકા મથક પોલીસમાં આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ સહિત જુદા જુદા 8 વેપારી પાસેથી ઉધારીમાં લોખંડના સળિયા સહિતની ચીજવસ્તુઓનો 18.84 કરોડનો ધુંબો મારી ભૂગર્ભમાં ઉતરી ગયેલ વેપારી જયરાજ પીઠળિયાએ રાજકોટના આર .કે. ટ્રેડરિંગવાળા વેપારી દીપકભાઈ પુસવાણીને સસ્તામાં લોખંડનો માલ આપવાનું કહી તેમની પાસેથી એડવાન્સમાં 50 લાખ મેળવી તેમને પણ છેતર્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક