જૂનાગઢ, તા.20: જૂનાગઢના સુખનાથ
ચોક વિસ્તારમાં અગાઉનાં મનદુ:ખમાં સમાધાનની બેઠકમાં સમાધાનનો ઇન્કાર કરનાર યુવાન ઉપર
ચાર શખસે છરી વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડતા પતિને છોડાવવા વચ્ચે પડેલ પત્નીને
ઢીકા પાટુનો માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત પ્રમાણે સુખનાથ
ચોક વિસ્તારમાં રહેતા ઇરફાન ફિરોઝ પઠાણ (ઉં.વ.26)ને રામદેવપરામાં રહેતા અજીત ઉર્ફે
મંત્રી સાથે માથાકૂટ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સમાધાન માટે ગત રાત્રે
સલમાન ઉર્ફે ટકો, અપુડિયો ગાંડો, અજય રમેશ કોળી અને સમીર ઉર્ફે ભુરિયો ફિરોજ ઇરફાનનાં
ઘરે પહોંચ્યા હતા.
આ શખસોએ અજીત મંત્રી સામે ફરિયાદ
નોંધાવેલ તેના સમાધાનની વાત કરતા, ઉરફાનએ સમાધાનની ના પાડતા, મામલો ગરમાયો હતો અને
ઇરફાનને ત્રણ શખસોએ પકડી લેતા સલમાન ઉર્ફે ટકાએ
છરી વડે હુમલો કરી મોઢા, સાથળમાં છરીના ઘા મારી ઇજા પહોંચાડતા તેની પત્ની છોડાવવા
વચ્ચે પડતા ચારેય શખસે ઢીકાપાટુનો માર મારી નાસી ગયાની ‘એ’ ડિવિઝન પોલીસમાં ફરિયાદ
નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.