જામનગર, તા.9: જામનગરના રણજીતસાગર રોડ પર સેટેલાઈટ પાર્ક શેરી નં.5માં રહેતા મનીષભાઈ વલ્લભભાઈ ડાંગરીયા નામના 45 વર્ષીય વેપારીએ પોતાના મનીષ ડાંગરીયા નામના ફેસબુક એકાઉન્ટ પર વિવાદીત પોસ્ટ કરી હતી. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભરી પરિસ્થિતિને લગતી ઘણી બધી પોસ્ટ કરી હતી. એક પોસ્ટમાં એવું લખ્યું હતું કે, ‘વાત આખા પાકિસ્તાનના સફાયો કરવાની છે ખાલી અવાવરુ જગ્યાએ એટલે કે ખરાબાની જગ્યાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી વાહ વાહી મેળવવાની નથી...’ મીડિયા અને પ્રજા વિશે પણ વિવાદિત શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં ઘણા વ્યક્તિઓએ કોમેન્ટ પણ કરી હતી. આવી વિવાદીત પોસ્ટથી ભારતના સર્વ ભૌમત્વ એકતા અખંડિતતા તથા સુરક્ષાને જોખમાય તેવી હોય તેમજ જનતાને ગેરમાર્ગે દોરતી હોવાથી તંત્રને ધ્યાને આવ્યો હતો. જેને લઈને પંચકોષી બી ડિવીઝન પોલીસમાં મનીષભાઈ ડાંગરીયા નામના શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બીએનએસ કલમ બીએનએસ કલમ 197 ડી મુજબ તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.