• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

પ્રત્યેક નાગરિક એ યુનિફોર્મ વિનાનો સૈનિક છે’ : ધર્મબંધુજી

પ્રાંસલામાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશના 15 હજાર જેટલા શિબિરાર્થીઓ સાથે 26મી રાષ્ટ્રકથા શિબિરનો પ્રારંભ

કેરાલાના રાજ્યપાલ આર્લેકર, આસામ રાયફળના ડીજી લેફ્ટેનન્ટ જનરલ વિકાસ લાખેરા, મંત્રી મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિ

સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા પ્રાંસલા મુકામે આજથી તા. 4 જાન્યુઆરી સુધી યોજાનારી 26મી રાષ્ટ્રકથા શિબિરનો વૈદિક યજ્ઞથી શુભારંભ થયો હતો જેમાં કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેંકર, રાજયના વન-પર્યાવરણ-કલાયમેટ ચેન્જ અને સાયન્સ-ટેક નોલોજી વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આસામ રાયફલના ડીજી લેફ્ટન્ટન્ટ જનરલ વિકાસ લાખેરા સહિતના અગ્રણીઓ સામેલ થયાં હતાં.

28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પધારેલા 15000 જેટલા શિબિરાર્થી ભાઇ-બહેનોને સ્વામી ધર્મબંધુજીએ પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણા ભૂતકાળનું અધ્યયન કરવું જોઈએ કે જેથી વર્તમાનને સારી રીતે સમજી શકાય અને ભવિષ્ય માટે નીતિ નિર્ધારણ કરી શકાય. આથી આ રાષ્ટ્રકથા શિબિર દરમિયાન સંવિધાન, રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સમરસતા, સાયન્સ-ટેકનોલોજી, અધ્યાત્મ વિગેરે વિષયો અંગે રાષ્ટ્ર ચિંતન કરવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આપણી સાથે સ્વતંત્રતા પામેલ અનેક રાષ્ટ્રો બેહાલ છે જ્યારે આપણા રાષ્ટ્રના સંવિધાન અને સભ્યતાએ તેને અખંડ જાળવી રાખીને આત્મનિર્ભર બનાવ્યું હોય સંવિધાનને માત્ર કાનૂની દસ્તાવેજના રૂપમાં નહીં પરંતુ નાગરિકોને દાયિત્વોનું માર્ગદર્શન આપતા પ્રેરક દસ્તાવેજ સ્વરૂપે જોવું જોઈએ. માત્ર શૈક્ષણિક ડિગ્રી મેળવી લેવી પર્યાપ્ત નથી આ સાથે ચારિત્ર્ય, કૌશલ્ય વિકસિત કરવા વિશે અત્યારથી જ વિચારવું આવશ્યક છે. પ્રત્યેક સૈનિક એ યુનિફોર્મથી સજ્જ નાગરિક છે અને પ્રત્યેક નાગરિક એ યુનિફોર્મ વિનાનો સૈનિક છે. બાહ્ય સુરક્ષા જેટલી જ આંતરિક સર્તકતા અને સંયમની આવશ્યકતા છે.

કેરાલાના રાજયપાલ રાજેના વિશ્વનાથ આર્લેકરે શિબીરાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જણાવેલ કે, રાષ્ટ્રકથા શિબિરના ઉપક્રમે આપ સહુને અહીં એક જ સ્થળે સમગ્ર ભારતના વિવિધ રાજયોના યુવક-યુવતીઓ સાથે 9 દિવસ સાથે રહેવા મળશે જેનાથી ભારતની વિવિધતાભરી સભ્યતાથી પરિચિત થવાનો અમૂલ્ય અવસર મળશે. તેઓએ સંપતિવાનની સાથે સશક્ત ‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવા આહ્વાહન કર્યું હતું.

કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,  પ્રતિ વર્ષે અહીં રાષ્ટ્રકથા શિબિર સ્વરૂપે સર્જાતા ’મીની ભારત’ એ આપના વ્યક્તિત્વ વિકાસથી માંડીને રાષ્ટ્રને સ્પર્શતા વિવિધ વિષયોને સમજવાની મળેલી સોનેરી તક છે. આસામ રાયફલના ડીજી લેફટન્ટન્ટ જનરલ વિકાસ લાખેરાએ શિબિરાર્થીઓને સાર્થક જીવન જીવવા શિસ્ત, સંયમ અને વિશ્વાસના સદ્ગુણોને આત્મસાત કરવા તેમજ જીવનભર સતત નવું શીખતા રહેવા અનુરોધ કર્યો હતો. આ શિબિરમાં છત્તીસગઢમાં આત્મસમર્પણે કરેલા 50 નકસલીઓ પણ ઉપસ્થિત રહીને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક