અગાઉ પિતાએ પણ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ : પોલીસ સામે ગંભીર આક્ષેપ
જૂનાગઢ, તા.28: કાલવાણી ગામના 30 વર્ષીય યુવાન ભાવાસિંગ ઉર્ફે મયુર
અમુભાઈ ધાનાએ ભૂમાફિયાના માનસિક ત્રાસથી કંટાળીને ગત તા. 27 ડિસેમ્બરના રોજ પોતાના
ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવાનના પિતાએ ગામના જ અનિરુદ્ધાસિંહ
જખીયા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આત્મહત્યા
કરનાર મયુરે જીવ ટૂંકાવતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં
તેણે અનિરુદ્ધાસિંહ જખીયા તેને સતત ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. મૃતક મયુરના
પિતા અમુભાઈ ધાનાએ જણાવ્યું હતું કે, આ શખસ અવારનવાર ધમકીઓ આપતો હતો. અને બનાવના દિવસે
જ બાપ-દીકરા બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમુભાઈ કેશોદથી પરત ઘરે પહોંચ્યા
ત્યારે તેમનો દીકરો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ફરિયાદ ન નોંધ્યાનો આક્ષેપ
મૃતકના પિતાનો આક્ષેપ છે કે,
ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને તેમણે પોતે પણ ત્રણ મહિના પહેલા ઝેરી દવા પીને આત્મહત્યાનો
પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ પોલીસ ફરિયાદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેમની
ફરિયાદ નોંધવાને બદલે સામા પક્ષે તેમના દીકરા પર જ ફરિયાદ નોંધી દીધી હતી. જો તે સમયે
પોલીસે અમારી વાત સાંભળીને ન્યાય આપ્યો હોત, તો આજે મારો દીકરો જીવતો હોત.
આ મામલે કેશોદ એસ.પી. બી.સી.
ઠક્કરે જણાવ્યું હતું કે, કાલવાણી ગામના યુવાનના આપઘાત માટે અને ફરિયાદી અમુભાઈની રજૂઆતના
આધારે અનિરુદ્ધાસિંહ જખીયા વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ
ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.