• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

મોરબી નજીક અકસ્માતના બે બનાવમાં પાંચનાં મૃત્યુ

ઉર્સમાં જતી વખતે મોટા દહીંસરા પાસે ત્રિપલ અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ : ઝીંઝુડા પાસે કારે-બાઈકને ઠોકર મારતા બે યુવાનનાં મૃત્યુ

મોરબી, તા.19: માળીયાના મોટા દહીંસરા અને વર્ષામેડી વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવાનના મૃત્યુ થયા હતા. જ્યારે મોરબીના ઝીંઝુડા નજીક વાહન અકસ્માતમાં યુવાનના મૃત્યુ નીપજ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાના મોટા દહીંસરા વર્ષામેડી વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાની સામે બુલેટ અને સ્પ્લેન્ડર અથડાયા હતા. આ અકસ્માતમાં સમીરભાઈ રહેમાનભાઈ ઉ.વ.22 (રહે.મકરાણીવાસ, મોરબી), રહીમભાઈ અવેશભાઈ સંઘવાણી ઉ.વ.16 (રહે.કાજરડા), ઈમરાનશા સમીરશા સહમદાર ઉ.વ.18 (રહે.મકરાણીવાસ, મોરબી)નું મૃત્યુ થયું હતું. મૃતકો ઝીંઝુડા ખાતે ઉર્સમાં જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં અબ્દુલભાઈ અબ્બાસભાઈ કાજડીયા (રહે.કાજરડા) સહીત 2ને ઈજા પહોંચી હોવાથી સારવારમાં છે. આ બનાવ મામલે માળિયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઉપરાંત ઝીંઝુડા નજીક સોલંકીનગર પાસે બાઈક લઈને જતા લીયાક્તભાઈ અસકર શેડાતને અજાણ્યા વાહને ઠોકર મારતા તેઓનું પણ મૃત્યુ થયું છે. બીજા એક બનાવમાં પીપળીયા ચાર રસ્તા પાસે બાઈક લઈને જતા હરેશભાઈ લાભુભાઈ ગણેશિયાને અજાણ્યા વાહન હડફેટે લેતા તેઓનું પણ મૃત્યુ નીપજ્યું છે. આ મામલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માળીયાના મોટા દહીંસરા વર્ષામેડી પાસે થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત સારવારમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે મોરબી સિવિલમાં ઈજાગ્રસ્તના  પરિવારજનો તથા લોકોના ટોળા ઉમટી પડયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક