• શનિવાર, 27 જુલાઈ, 2024

ખાખુઈ ગામે યુવકને માર મારીને ચાર શખસે પુલ પરથી ફેંક્યો

કાકાજી સાથે ચાલતા જમીન અંગેના વિવાદનાં કારણે ઘરેથી ઉઠાવી જઈને હુમલો

બોટાદ, તા.રપ: બોટાદનાં ખાખુઈ ગામે કાકાજી સાથે જમીન અંગેના વિવાદને લઈ યુવકને મોડી રાત્રિનાં ઘરેથી બાઇકમાં બેસાડી લઈ જઈ માર મારી પુલ નીચે ફેંકી દેતા ચાર શખસ વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત પ્રમાણે, બોટાદ જિલ્લામાં ખાખુઈ ગામે રહેતાં ગીતાબેન વિજયભાઈ રાઠોડ અને તેના કાકાજી કમા રૂપાભાઈ રાઠોડ તથા તેમના દીકરાઓ સાથે જમીન અંગેનો વિવાદ ચાલતો હતો. જેથી ગત તા.રપ મેના રાત્રિના 1ર.30 વાગ્યાના સુમારે લાત મારીને રૂમનો દરવાજો ખોલી કાકાજી કમા રૂપાભાઈ રાઠોડ તથા તેમનો દીકરા મહેશ આવ્યા અને ગીતાબેનના પતિ વિજયને બે લાફા મારી બહાર લઈ જઈ મોટર સાઇકલ ઉઠાવી ગયા હતા. મોડી રાત્રિના ચાર વાગ્યા સુધી પતિ ઘરે નહીં આવતાં ગીતાબેન તથા તેમના દિયર અજયભાઈ તથા તેમનાં સાસુ શાંતિબેન સહિતનાએ તપાસ કરતા પાદરમાં પુલ નીચે લોહી લુહાણ હાલતમાં મળી આવતા 108 મારફતે પ્રથમ બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા.

આ બનાવ અંગે ઈજાગ્રસ્તનાં પત્ની ગીતાબેન રાઠોડે આરોપી કમા રૂપાભાઈ રાઠોડ, મહેશ કમાભાઈ રાઠોડ, અરવિંદ કમાભાઈ રાઠોડ, ભીખા નારાયણભાઈ પરમાર (રહે. ખાખોઈ) સામે તેના પતિ વિજયભાઈને લઈ જઈ મારી નાખવાના ઈરાદે માથામાં જીવલેણ ગંભીર ઈજા કરી પુલ નીચે ફેંકી દઈ એકબીજાને મદદગારી કર્યાની પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક