‘માતોશ્રી’માં મળ્યા બાદ ‘આપ’ના સંયોજકે કહ્યું : કેન્દ્રના વટહુકમ સામે ઠાકરે સાથ દેશે
નવી દિલ્હી, તા. 24 : મમતા બેનર્જી બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે મુંબઇમાં ‘માતોશ્રી’ પહોંચીને ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. મુલાકાત બાદ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં ‘આપ’ સંયોજકે કહ્યું હતું કે, ઉદ્ધવ પણ સમર્થન આપશે.
અધિકારીઓની બદલી, પાસ્ટિંગ પર કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ લડાઇમાં સાથ આપવાનું ઉદ્ધય ઠાકરેએ વચન આપ્યું છે, તેવું કેજરીવાલે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, અમે સંબંધોની કમાણી કરનારા લોકો છીએ, રાજનીતિ તેની જગ્યાએ છે, લોકતંત્રને બચાવવા અમે એક સાથે છીએ. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આઠ વર્ષની લાંબી લડાઇ બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી ચલાવવાનો અધિકાર આપ્યો હતો. કેન્દ્ર સરકારે આઠ દિવસમાં વટહુકમથી એ અધિકાર છીનવી લીધો.
લોકતંત્રમાં ચૂંટાયેલી સરકાર પાસે સત્તા હોવી જોઇએ. જનતાની મરજી ચાલવી જોઇએ. ભાજપના લોકો ન્યાયમૂર્તિ સામે ઝુંબેશ ચલાવે છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.