નવી દિલ્હી, તા. 5 : ઉત્તરાખંડના
બાગેશ્વર જિલ્લાનાં 11 ગામમાં જોશીમઠની જેમ જમીન ધસવાનો બનાવ બની રહ્યો છે. કુંવારી,
કાંડા અને કપકોટ વિસ્તારમાં સડક, ખેતર અને ઘરોમાં મોટી મોટી તિરાડો પડી છે. કપકોટ અને
કાંડામાં ભારે વરસાદ અને મોટાપાયે થતાં ખનનનાં કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. જેનાં
કારણે 200થી વધારે પરિવાર વિસ્થાપનની માગણી કરી રહ્યા છે.
ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટે
બાગેશ્વર જિલ્લામાં 11 ગામને સંવેદનશિલ ઘોષિત કર્યા છે. આ 11 ગામમાં 450 ઘર ઉપર જોખમ
છે. જેમાં કુંવારી અને સેરી જેવાં ગામમાં 131 પરિવાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે. બીજી તરફ
કાંડા ક્ષેત્ર અને રીમા ક્ષેત્રની સોપસ્ટોન ખાણ પાસે પણ ઘણા ગામ જમીન ધસવાનો સામનો
કરી રહ્યા છે. આ વિસ્તારમાં સડકો અને મકાનોમાં તિરાડો પડી રહી છે. કપકોટમાં પહાડ ઉપર
ભૂસ્ખલન સ્પષ્ટ જોવા મળે છે. તૂટી રહેલા પહાડ તો કુંવારી ગામની ઓળખ બની ગયા છે. મકાનની
આગળ અને પાછળ બન્ને તરફથી થઈ રહેલા ભૂસ્ખલનથી ગ્રામીણોમાં દહેશત છે. 54 પરિવાર આજે
પણ વિસ્થાપિત થવાની રાહ જોઈ રહ્યા છે.
આ મામલે ઉપજિલ્લા અધિકારી કપકોટ
અનુરાગ આર્યએ કહ્યું છે કે, જિલ્લાના 11 ગામ સંવેદનશીલ ઘોષિત થઈ ચૂક્યા છે. પ્રભાવિત
પરિવારને વિસ્થાપિત કરવાની તૈયારી કરી લેવામાં આવી છે.