કોંગ્રેસે નવેસરથી સેબીનાં વડા ઉપર કર્યો હુમલો: ભ્રષ્ટાચારનો આરોપ
નવીદિલ્હી,તા.6:
સંસદની લોક લેખા સમિતિ(પીએસી) દ્વારા સેબીનાં વડા માધવી પુરી બુચને સેબીનાં કામકાજની
સમીક્ષા માટે પૂછપરછ કરવા બોલાવવામાં આવે તેવી સંભાવના છે. જો કે આને લઈને પણ મોટો
બખેડો થવાની શક્યતા છે કારણ કે સમિતિની અંદર કેટલાક સાંસદ આવા એકતરફી નિર્ણયની વિરુદ્ધ
છે.
કોંગ્રેસનાં
નેતા કે.સી. વેણુગોપાલની અધ્યક્ષતાવાળી સમિતિએ આગામી પાંચ વર્ષ માટે ચર્ચા કરવાં
161 વિષય નક્કી કરેલા છે. જેમાં 160મા ક્રમે સંસદનાં કાયદાથી બનેલી નિયામક સંસ્થાઓનાં
કામકાજની સમીક્ષાને પણ સામેલ કરવામાં આવેલી છે. તેનાં હેઠળ જ સેબીનાં વડા માધવી બુચને
સમન્સ જારી થઈ શકે છે.
દરમિયાન
આજે કોંગ્રેસે ફરી એકવાર માધવી પુરી બુચ ઉપર નવા આરોપનો મારો ચલાવ્યો હતો. કોંગ્રેસનાં
નેતા પવન ખેડાએ માધવી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું હતું કે, સેબીનાં અધ્યક્ષપદે
રહેતા તેમણે મુંબઈ સ્થિત પોતાની એક સંપત્તિનાં બદલામાં ભાડુ વસૂલી રહ્યા છે. આ મિલકત
એવી કંપનીને ભાડે આપી છે જેની પૈતૃક કંપની સામે લાગેલા આરોપોની તપાસ સેબી પોતે જ કરે
છે. કોંગ્રેસે કહ્યું હતું કે, આ હિતોનાં ટકરાવ જ નહીં બલ્કે ભ્રષ્ટાચારનો મામલો છે.