નવીદિલ્હી, તા.9: સીરિયામાં વિદ્રોહીઓ
સામે શાસન પરાસ્ત થઈ ગયા બાદ સીરિયાનાં ટુકડા થઈ જવાની આશંકા છે. દેશમાં તખ્તાપલટ પછી
સત્તા પ્રભાવ માટે એકથી વધુ દાવેદારો ઉભા થઈ ગયા છે અને તેના હિસાબે દેશની અખંડતા સામે
જોખમ પેદા થઈ ગયું છે.
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદને
દેશ છોડી જવાની ફરજ પડયા બાદ રશિયાએ તેમને અને તેમના પરિવારને માનવીય ધોરણે આશ્રય આપ્યો
છે. ઈસ્લામિક સમૂહ હયાત તહરીર અલ શામ(એચટીએસ)ની આગેવાનીમાં સીરિયાના બંડખોરોએ સરકારને
હાંકી કાઢી છે. અલકાયદાનો પૂર્વ કમાન્ડર અબુ મોહમ્મદ અલ જેલાની હગયાત એચટીસીનું નેતૃત્વ
સંભાળે છે. આ સીરિયાનું સૌથી મોટું વિદ્રોહી જૂથ છે અને હાલ દેશની બાગડોર તેના જ હાથમાં
આવી ગઈ છે.
સીરિયાની અસ્થિરતાનો મોકો જોઈને
ઈઝરાયલ અને તુર્કી તેના ટુકડા કરી નાખે તેવી પણ આશંકા છે અને સીરિયામાં જ મોજૂદ અનેક
વિદ્રોહી જૂથો આંતરિક ટકરાવથી દેશને વિભાજિત કરી નાખે તેવી શક્યતા પણ પ્રબળ છે. સીરિયામાં
કુર્દોનાં વર્ચસ્વવાળી સીરિયન ડમોક્રેટિક ફોર્સનો પૂર્વ સીરિયાનાં મોટા પ્રદેશ ઉપર
કબ્જો છે. આ જૂથ અમેરિકા સમર્થિત છે. તે સીરિયાને લોકતાંત્રિક અને સંઘીય દેશ બનાવવા
માગે છે. તુર્કી એક પ્રકારે તેના કટ્ટર વિરોધમાં છે. તુર્કીનું કહેવું છે કે, તે જેને
આતંકી જૂથ માને છે તેવા પીકેકે સાથે આ સમૂહને સંબંધ છે. ઉત્તર સીરિયામાં સીરિયન નેશનલ
આર્મીનો દબદબો છે. તે તુર્કી સમર્થક છે.