• શનિવાર, 04 એપ્રિલ, 2026

ભારત આવતાં ઇરાની જહાજે રસ્તો બદલ્યો

ક્રૂડના જથ્થા સાથે વાડીનાર તરફ આવતું જહાજ અચાનક ચીન તરફ ફંટાયું : ચૂકવણીનો મુદ્દો કારણભૂત

નવી દિલ્હી, તા. 3 : મધ્ય એશિયામાં સૈન્ય સંઘર્ષથી દુનિયાભરમાં ક્રૂડતેલ-ગેસની ભારે તંગી ઉત્પન્ન થઇ છે તે સ્થિતિ વચ્ચે ઇરાનથી કાચું તેલ લઇને ભારત આવી રહેલા ઇરાનના ટેન્કર-જહાજે મધદરિયે અચાનક રસ્તો બદલી ચીન તરફ વળી ગયાના અહેવાલ સાંપડી રહ્યા છે. જહાજ દ્વારા અચાનક જ રસ્તો બદલવાનું કારણ ચૂકવણીથી જોડાયેલા મુદ્દા હોવાનું મનાઇ રહ્યું છે.

આ જહાજનું નામ આફ્રામેક્સ ટેન્કર પિંગ શુન છે. તેને વર્ષ 2002માં બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2025માં અમેરિકાએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ જહાજ ઇરાનથી ગુજરાતના વાડીનાર તરફ ક્રૂડતેલ લઇને આવવા રવાના થયું હતું. જો કે ક્રૂડનો આ જથ્થો ભારત આવત તો આશરે સાત વર્ષ બાદ દેશની પહેલી ઇરાની ક્રૂડતેલની ખરીદી બની જાત એમ અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.

શિપ ટ્રાકિંગ કંપની કેપ્લરના જણાવ્યા અનુસાર, પિંગ શુન નામનું આફ્રામેક્સ ટેન્કર હવે ગુજરાતના વાડીનારને બદલે ચીનના ડોંગાયિંગ તરીકે તેનું ગંતવ્ય સ્થાન જાહેર કરી રહ્યું છે. 

હેવાલ અનુસાર, રિફાઇનિંગ અને મોડાલિંગ વિભાગના મુખ્ય વિશ્લેષક સુમિત રિટોલિયાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ત્રણ દિવસથી વાડીનાર (ભારત) તરફ જઈ રહેલા ઈરાની ક્રૂડ ઓઇલ જહાજ ‘પિંગ શુન’એ ભારતને તેના ડેસ્ટિનેશન લિસ્ટમાંથી દૂર કરી દીધું છે અને હવે તે ચીન તરફ જવાના સંકેત કરી રહ્યું છે.

‘િરટોલિયાએ જણાવ્યું હતું કે, જહાજના ગંતવ્ય સ્થળોમાં ફેરફારનું કારણ ચૂકવણીની શરતો હોઈ શકે છે. અગાઉ આપવામાં આવતી 30-60 દિવસની ક્રેડિટને બદલે, વેચાણકર્તાઓ હવે તાત્કાલિક અથવા ટૂંકી ચૂકવણીની માંગ કરી રહ્યા છે. ક્રૂડ ઓઇલના વાસ્તવિક ખરીદદારો અને વેચાણકર્તાઓ કોણ છે તે સ્પષ્ટ નથી. વાડીનારમાં રશિયન તેલ કંપની રોઝનેફ્ટ દ્વારા સમર્થિત નાયરા એનર્જીની 20 મિલિયન ટન વાર્ષિક રિફાઇનરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક