• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

લખનઉની હાર બાદ માલિક સંજીવ ગોયન્કાએ કપ્તાન પંતનો ઉધડો લીધો ?

લખનઉ, તા.2: લખનઉ સુપર જાયન્ટસના અભિયાનની શરૂઆત નિરાશાજનક રીતે રહી. હોમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમ પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 6 વિકેટે હાર સહન કરવી પડી હતી. ટીમના ખરાબ દેખાવ અને હાર પછીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટીમના માલિક સંજીવ ગોયનકા અને કપ્તાન ઋષભ પંત કોચિંગ સ્ટાફ સાથે વાતચીત કરતા જોવા મળે છે. વાત શું ચાલી રહી છે તે સ્પષ્ટ થતું નથી, પણ ચર્ચા ઉગ્ર હતી તેવા હાવભાવ હતા. ચાહકો આ વીડિયોને જૂના કેએલ રાહુલના કિસ્સા સાથે જોડી રહ્યા છે. 2024ની સીઝનમાં સનરાઇઝર્સ સામેની 10 વિકેટની હાર બાદ સંજીવ ગોયનકાને મેદાન પર જ તે સમયના કપ્તાન કેએલ રાહુલને તતડાવી નાંખ્યો હતો. આથી ફરી એકવાર સંજીવ ગોયન્કાનો વ્યવહાર સવાલોના ઘેરમાં છે. જો કે આ વિવાદને શાંત પાડવા ખુદ ગોયન્કાએ ચોખવટ કરી છે. ટીમ અને કપ્તાન પંત પર ફ્રેંચાઇઝીને વિશ્વાસ છે.

હારનું ઠીકરું પંતે બેટધરો પર ફોડયું

દિલ્હી સામેની હાર બાદ એલએસજીના કેપ્ટન ઋષભ પંતે સ્વીકાર્યું કે તેમના બેટધરોએ પાર્યપ્ત રન કર્યાં નહીં. અમારે મોટી ભાગીદારી કરવાની જરૂર હતી. અમે શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી. આ પછી અમારી ઇનિંગમાં સ્થિરતા આવી નહીં. નિકોલસ પૂરન અને આયુષ બદોની માટે અમે ખાસ ભૂમિકા તૈયાર કરી છીએ. બન્ને જલ્દીથી આઉટ થયા આથી અમારી પાસે લક્ષ્યનો બચાવ કરવા માટે પૂરતા રન હતા નહીં. બોલરોના પ્રયાસને બિરદાવતા પંતે કહ્યું તેમણે સારી શરૂઆત અપાવી, પણ સમીર રિઝવીએ થોડી મુશ્કેલ પિચ પર શાનદાર બેટિંગ કરી અમને મેચથી દૂર કરી દીધા. જીતનો શ્રેય તેને મળે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક