-અગરતલામાં સંઘ વડા ભાગવતે કહ્યું; વિવિધ પ્રયોગો છતાં દુનિયામાં શાંતિ નથી
અગરતલા,
તા. 21 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું
કે, શાસન, ધર્મ અને વિજ્ઞાનના વિવિધ પાસાંઓ સાથે 2,000 વર્ષ પ્રયોગ કર્યા પછી, વિશ્વ
હવે પોતાનો રસ્તો ભૂલી ગયું છે અને ભારતના જ્ઞાન તરફ જોઈ રહ્યું છે. તેમણે ત્રિપુરાના
મોહનપુરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
ભાગવત
મા સૌંદર્ય ચિન્મયી મંદિરના અભિષેક અને કુંભભિષેક સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.
ભાગવતે કહ્યું કે, શરૂઆતમાં રાજાને સત્તા આપવામાં આવી હતી, પરંતુ બાદમાં રાજા જ પોતે
લોકોનું શોષણ કરવા લાગ્યા હતા. આ પછી, લોકોએ ભગવાનને સર્વોચ્ચ માનીને ધર્મો સ્થાપિત
કર્યા, પરંતુ તેનાથી પણ રક્તપાત બંધ થયો ન હતો.
તેમણે
કહ્યું કે, વિજ્ઞાનના યુગમાં પણ માનવીય સમસ્યાઓનો અંત આવ્યો નથી. લોકોએ કહ્યું, ‘આપણે
વૈજ્ઞાનિકો છીએ, જ્યાં સુધી આપણે પ્રયોગશાળામાં ભગવાનને ન જોઈએ ત્યાં સુધી માનશું નહીં.’
આ પછી વિજ્ઞાનનો યુગ આવ્યો. ઘણી સુવિધાઓ અને સુખ-સુવિધાઓ પૂરી પાડવામાં આવી, પરંતુ
સંતોષ ન આવ્યો.
આજે
પણ, દુનિયામાં દુ:ખ છે, પરિવારો તૂટી રહ્યા છે અને ગુનાઓ વધી રહ્યા છે. એકવાર યુદ્ધો
શરૂ થાય છે, તે અટકતા નથી. જેમ-જેમ વિકાસ આગળ વધે છે, તેમ-તેમ પર્યાવરણનો નાશ થઈ રહ્યો
છે એમ ભાગવતે જણાવ્યું હતું.
હવે,
2,000 વર્ષના પ્રયોગો પછી, દુનિયા ભટકતી રહી છે અને ભારતના જ્ઞાન તરફ આશા સાથે જોઈ
રહી છે. તેમણે આને ભારતનું કર્તવ્ય ગણાવ્યું અને કહ્યું કે, આ ભારતના જીવનનો હેતુ છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા અને અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર હતા.