જંગલમાં રહેલી ગુફાને સેનાએ ઘેરી : સોમવારે સવારે ફરી ગોળીબારના અહેવાલ
શ્રીનગર, તા. 18: અનંતનાગમાં આતંકવાદીઓનો ખાત્મો કરવાનું ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે. જાણકારી મુજબ સુરક્ષા દળો હવે એ હાઇ સાઇટની નજીક પહોંચી ચૂક્યા છે જ્યાંથી નિશાન બનાવીને સેના ઉપર હુમલો કરવામાં આવી રહ્યો હતો. સુરક્ષા દળોએ આતંકીઓ છુપાયા છે તે ગુફાને પણ ચારે તરફથી ઘેરી લીધી છે. અનંતનાગના કોકરનાગના ગડોલ એરિયામાં મંગળવાર રાતથી આતંકીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે વરસાદના કારણે શનિવારે રાતથી ગોળીબાર બંધ થયો હતો. આ દરમિયાન સેના દ્વારા ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન સોમવારે સવારે ફરી ગોળીબાર થયાના અહેવાલ સામે આવ્યા છે.
કહ.ઁવાય છે કે તૈયબાના બેથી ત્રણ આતંકવાદી જંગલમાં છુપાયેલા છે. જેમાં ગયા વર્ષે તૈયબામાં સામેલ ઉજ્જેર ખાન પણ સામેલ છે. ઉજ્જેર વિસ્તારની પૂરી જાણકારી રાખે છે. ઓપરેશન દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે પરેશાની પણ આવી રહી છે. જો કે ગંભીરતાને ધ્યાને લઈને પૂરા વિસ્તારને ઘેરીને રાખવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. જંગલમાં આતંકીઓ છુપાઈને ગોળીબાર કરી શકે છે અને આઇઇડી હોવાની પણ ભીતિ છે. જેના કારણે ખૂબ ધ્યાન રાખીને સેના આગળ વધી રહી છે. આ એન્કાઉન્ટરનો સોમવારે છઠ્ઠો દિવસ હતો અને જંગલમાં પહાડમાં છુપાયેલા આતંકીઓ ઉપર સેનાએ ડ્રોન અને રોકેટ લોન્ચરથી બોમ્બ વરસાવ્યા હતા.