• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

બંગાળમાં 7 ન્યાયિક અધિકારી બંધક : CJI આકરા પાણીએ

માલદામાં મતદારોના નામ કમી થયાની આશંકાએ ટોળાએ અધિકારીઓને નવ કલાક સુધી ગોંધી રાખ્યા, હાઈવે કર્યો જામ

મોડી રાત સુધી જાગીને સીજેઆઈ સૂર્યકાંતે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને નિર્દેશ આપી અધિકારીઓને છોડાવ્યા

ગંભીર સંજ્ઞાન લઈ કરેલી સુનાવણીમાં કહ્યું, બંગાળ સૌથી વધુ ધ્રુવીકરણગ્રસ્ત રાજ્ય : ઈઉંઈંએ કહ્યું, સરકાર અને શીર્ષ અધિકારીઓ ફરજ નિભાવવામાં નિષ્ફળ, તપાસનો આદેશ

નવી દિલ્હી, તા. 2 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પહેલાથી જ  એસઆઈઆરને લઈને હંગામો થઈ રહ્યો છે તેવામાં માલદા જીલ્લાના કાલિયાચક વિસ્તારમાં બુધવારે સાંજે ખુબ જ ગંભીર બનાવ બન્યો હતો. જેમાં સાત ન્યાયીક અધિકારીઓ (ચૂંટણી નિરિક્ષક)ને આઠ કલાક સુધી બીડીઓ કાર્યાલયમાં બંધક બનાવીને રખાયા હતા. બાદમાં ભારે વિલંબ પછી પોલીસે તેઓને સુરક્ષિત બહાર કર્યા હતા. આ બનાવ ઉપર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંતે ગંભીર સંજ્ઞાન લઈને પશ્ચિમ બંગાળની સરકાર ઉપર આકરી નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારની કામગીરીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સીજેઆઈએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ દેશનું સૌથી વધુ રાજકીય રીતે વહેંચાયેલું રાજ્ય છે અને સૌથી વધારે ધ્રુવીકરણથી ગ્રસ્ત રાજ્ય છે. આ ઉપરાંત કહ્યું હતું કે ન્યાયિક  અધિકારીઓને બંધક બનાવવા મામલે શીર્ષ અધિકારીઓ પોતાની ફરજ  નિભાવી શક્યા નથી. આ બનાવ ઉપર બુધવાર-ગુરૂવારની રાત્રીના બે વાગ્યા સુધી સીજેઆઈ પોતે નજર રાખી રહ્યા હતા.

મળતી વિગત પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર અભિયાન હેઠળ 60 લાખથી વધારે મતદાતાના નામની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાંથી 49 લાખ મામલાનો ઉકેલ થઈ ચૂક્યો છે. આ કામગીરી હેઠળ અધિકારીઓ સાંજના ચાર વાગ્યા આસપાસ કાર્યાલયમાંથી બહાર  નિકળવા લાગ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો કચેરીના દરવાજા બહાર એકત્રિત થયા હતા અને અધિકારીઓને બહાર જવા દીધા નહોતા. આ વિરોધ દરમિયાન નજીકનો નેશનલ હાઈવે પણ બ્લોક કરી દેવાયો હતો. પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન સાત અધિકારીઓ કચેરીમાં પુરાઈ રહ્યા હતા જેમાં ત્રણ મહિલા પણ સામેલ હતા.મોડી રાત્રે એક વાગ્યા આસપાસ પોલીસ અને અર્ધસૈનિક દળની ટુકડી દ્વારા અધિકારીઓને રેસ્કયૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટાપાયે પથ્થરમારો પણ થયો હતો.

આ બનાવ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીર સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. સીજેઆઈ જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠે સરકાર અને પ્રશાસનના વલણની નિંદા કરી હતી. સીજેઆઈએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, આ ઘટના ન્યાયિક અધિકારીઓને ડરાવવા ધમકાવવાના પ્રયાસની સાથે અદાલતના અધિકારને સીધો પડકાર છે. આ કોઈ સામાન્ય ઘટના નથી પણ ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડવા અને કાનૂની પ્રક્રિયા રોકવાની જોઈ-વિચારીને કરવામાં આવેલી સાજિશ લાગી રહી છે.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળને સોથી ધ્રુવીકૃત રાજ્ય ગણાવતા કહ્યું હતું કે બંગાળમાં દરેક રાજકીય ભાષા બોલે છે. સીજેઆઈએ ખુલાસો કર્યો હતો કે તેઓ પોતે બે વાગ્યા સુધી સ્થિતિની દેખરેખ કરી રહ્યા હતા અને કોલકાતા હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડીજીપી તેમજ ગૃહ સચિવને ફોન કરવા પડયા હતા. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ ઘટનાની તપાસ સીબીઆઈ અથવા એનઆઈએ દ્વારા કરવામાં આવે અને તપાસ એજન્સી પોતાનો રિપોર્ટ સીધો સુપ્રીમ કોર્ટને સોંપે.

સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ કહ્યું હતું કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થવાના કારણે ચૂંટણી પંચે એક પક્ષ તરીકે કામ કરવું ન જોઈએ તેના ઉપર સુપ્રીમે પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે અદાલતને બોલવા મજબૂર ન કરે, તેઓને ખ્યાલ  છે કે ઉપદ્રવી કોણ છે. રાજ્ય સરકાર ફરજ બજાવવામાં નિષ્ફળ રહી છે અને અધિકારીઓએ કહેવું  પડશે કે સૂચના મળવા છતાં પણ અધિકારીઓને રેસ્કયૂ કરવામાં વિલંબ શું કામ કરવામાં આવ્યો. જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કર્યું હતું કે વિશેષ અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર કામ કરી રહ્યા છે અને તેની સુરક્ષાની જવાબદારી અદાલતની છે.

બનાવ અંગે પ્રતિક્રિયા આપતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, તેમની પાસે કોઈ પાવર નથી. તમામ શક્તિ છીનવી લેવામાં આવી છે. ગૃહ સચિવ, સીએસ, એસપી, ડીજીપી, ડીએમ તમામની બદલી કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ આ બનાવ માટે જવાબદાર છે. જ્યારે ભાજપ તરફથી અમિત માલવિયએ કહ્યું હતું કે, કાયદો વ્યવસ્થાને આવી રીતે ધ્વસ્ત થવા દેવાય નહી. ઉત્તરી બંગાળ અને દક્ષિણી બંગાળનો પુરી રીતે સંપર્ક તુટી ગયો હતો. સ્થિતિ પુરી રીતે નિયંત્રણની બહાર થઈ હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક